ધાનપુરના લખણા ગોજીયામાં ઘરમાં આગ લાગતા પરિવારજનોમાં નાસભાગ, પથારીવશ વૃદ્ધા બહાર ન નીકળી શકતા ભડથું થઈ ગયા…
દાહોદ તા.21
ધાનપુર તાલુકાના લખણા ગોજીયા ગામે રાત્રિના સમયે એક મકાનમાં આકસ્મિક આગ લાગતા ઘરમાં સૂતેલા વૃદ્ધા સહિત પશુધન આગમાં ભડથું થઈ ગયા હતા.ઘરવખરી સામાન સહિત આખું ઘર બળીને ખાખ થઈ ગયુ છે.ફાયર ફાઈટર તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લખણા ગોજીયા ગામે ખેડા ફળિયામાં રહેતા મહેશભાઈ ઉર્ફે કડિયાભાઈ મોહનભાઈ નાયકા પોતાના પરિવાર તેમ જ 80 વર્ષીય વૃદ્ધ માતા બુચીબેન સાથે રહે છે. જે પથારીવશ હોઈ અને ઘરમાંજ હતા. તે વખતે રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં આ મહેશભાઈ નાયકા ના ઘર માં અચાનક આગ લાગતા મહેશભાઈ નો પરિવાર ઘરની બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી કરી લેતા બીજું કંઈ વિચારે તે પહેલા જોત જોતા માં આખા ઘરમાં આગ ફેલાઈ જવા પામી હતી.ત્યારે આ આગ ના બનાવને લઈ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાના પ્રયત્નો કર્યા હતા પણ આગ એટલી ભયાનક હતી કે આખા મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી.આ બનાવને લઈ સ્થાનિક લોકો દ્વારા દેવગઢબારિયા ફાયર ફાઈટર તેમજ પોલીસને જાણ કરતા પોલીસ તેમજ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયુ હતુ.જોકે ફાયર ફાયટર પહોંચે તે પહેલા બધુ ખાખ થઈ ગયુ હતુ ફાયર ફાઇટર પહોંચ્યું ત્યારે ઘરમાં ઉઘેલા 80 વર્ષીય બુચીબેન નાયકા તેમજ ઘરમાં બાંધેલા ચાર બકરા જે આગમાં બળીને ભડથું થઈ ગયા હતા. ઉપરાંત ઘરવખરી તેમજ અન્ય સર સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો.ત્યારે આ બનાવને લઈ મહેશભાઈ ઉર્ફેક કીડીયાભાઈ મોહનભાઈ નાયકાએ ધાનપુર પોલીસ મથકે બનાવ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મરણ જનાર બુચીબેન ની લાશને પીએમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે