રાજેન્દ્ર શર્મા :- ગ્રુપ એડિટર.
લોકસભામાં ચાલુ સત્ર દરમિયાન રેલવે સંબંધી બાબતોને લઈ દાહોદના સાંસદે રેલ મંત્રી જોડે કરી મુલાકાત…
કોરોના કાળથી બંધ પડેલી લોકલ તેમજ ઇન્ટરસિટી, જનતા જેવી મહત્વપૂર્ણ ટ્રેનો પુનઃશરૂ કરવા રજૂઆત કરાઈ
દાહોદના સાંસદે પી.એમ મોદીને પત્ર લખી રેલ મંત્રી જોડે શિષ્ટાચારની મુલાકાત કરી..
બંધ પડેલી ટ્રેનો ચાલુ કરવા, સુપરફાસ્ટ ટ્રેનના સ્ટોપેજ ફાળવવા,દાહોદ-ઇન્દોર રેલ પરિયોજનાથી વેગવંતી બનાવવા તેમજ રેલવે પ્રોડક્શન યુનિટ ને ઝડપથી પૂર્ણ કરવા ચર્ચા વિચારણા કરાઈ..
દાહોદ તા.24
આદિવાસી આદિવાસી બાહુબલી ધરાવતા દાહોદ જિલ્લા તેમજ આસપાસના વિસ્તારોમાં વસતા નાના તેમજ મધ્યમ વર્ગના પરિવારો માટે લાઈફ લાઈન ગણાતી પસેન્જર લોકલ ટ્રેનો પુનઃ શરૂ કરવા દાહોદના સાંસદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રેલ મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. સાથે સાથે અત્રે થી પસાર થતી કેટલીક મહત્વપૂર્ણ સુપરફાસ્ટ ટ્રેનો ના સ્ટોપેજ અંગે તેમજ ઇન્દોર રેલ પરિયોજના તથા નિર્માણાધીન રેલવે પ્રોડક્શન યુનિટની બાબતો અંગે ચર્ચા વિચારણા કરી તમામ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કર્યોં હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્દોર રેલ પરિયોજના અંગે ઇન્દોરના સાંસદે પણ પોતાના વિસ્તારની અધૂરી કામગીરી સમય સર પૂર્ણ કરવાની હૈયા ધરપત આપી હતી.
સ્માર્ટસીટી અને અગામી દિવસોમાં જંક્શનની શ્રેણીમાં આવનાર દાહોદ રેલવે સ્ટેશન પર અવરજવર કરતી ટ્રેનો પૈકી આજુબાજુના આંતરિયાળ વિસ્તાર તેમજ મધ્યપદેશ, રાજસ્થાન તરફથી આવતા આદિવાસી સમુદાયની સાથે સાથે આ વિસ્તારના તમામ નાના તેમજ મધ્યમ વર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ અને દાહોદના ધંધા રોજગાર માટે જીવાદોરી સામાન મેમુ, ડેમુ તેમજ ઇન્ટરસીટી જેવી ટ્રેનો કોરોના વૈશ્વિક મહામારીમાં બંધ કરવામાં આવી હતી. જે તમામ ટ્રેનો પૈકી દાહોદ-વડોદરા મેમુ, દાહોદ-આણંદ મેમુ તથા દાહોદ-વલસાડ ઇન્ટરસીટી ટ્રેન હાલ સુધી શરૂ ન કરાતા આ વિસ્તારની પ્રજાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને તેને કારણે રેલવે તંત્ર સહીત સંબંધિતો સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાંય જે તે કક્ષાએથી માત્ર લોલીપોપ જ અપાતી હતી. તેવા સમયે વિધાનસભાની ચૂંટણી સમયે આ ટ્રેનો ચાલુ થઈ જશે તેવી પાક્કી આશા સેવાઈ રહી હતી. ત્યારે હાલ સુધી આ બંધ થયેલી ટ્રેનો પુનઃ શરૂ ન કરાતા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે આ બાબતને ગંભીર રીતે લઇ તાજેતરમાં ચાલી રહેલા સંસદ સત્ર દરમિયાન પ્રધાનમંત્રીને પત્ર લખી દાહોદ વિસ્તારની આ બંધ થયેલી અને સામાન્ય જન માટે આશીર્વાદ રૂપ નીવડેલી સાથે સાથે રેલવે તંત્ર માટે કમાઉ દીકરા સમાન સાબિત થતી આવી ટ્રેનો તાત્કાલિક અસરથી શરૂ કરવા રજૂઆત કરી છે. તો આ પત્રની સાથે જ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની મુલાકાત લઇ સમગ્ર બાબતથી વાકેફ કરી આ લોકલ ટ્રેનો શરૂ કરવા રજૂઆત કરતા રેલમંત્રીએ પ્રશ્નોનો ઉકેલ લાવવા હૈયા ધરપત આપી હોવાનું સાંસદે અનૌપચારિક મુલાકાતમાં જણાવ્યું છે. અત્રે ઉલ્લેખની છે કે દાહોદ ઇન્દોર રેલ પરીયોજના તથા નિર્માણાધીન રેલવે પ્રોડક્શન યુનિટની કામગીરીમાં ઝડપ વધારી તેને સમયસર પરિપૂર્ણ કરવા પર ભારપૂર્વક રજૂઆત કરી હતી. તો ઇન્દોર-દાહોદ રેલ પરિયોજના અંગે તેમજ મધ્યપ્રદેશના કેટલાક સળગતા પ્રશ્નો અંગે ઇન્દોરના સાંસદ શંકર લાલવાની સાથે પણ રેલ મંત્રાલયમાં પરામર્સ કરી હતી. અને ઇન્દોર તરફના પ્રશ્નોને નિરાકરણ કરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ત્યારે અગામી 2024 લોકસભાની ચૂંટણી પૂર્વે આ આ પ્રશ્નો હલ કરાશે. કે વિધાનસભાની ચૂંટણી ટાણે અપાયેલી અનેક તારીખો જેમ માત્ર લોલીપોપ બનીને રહી જશે તે આવનાર સમય જ બતાવશે.
દાહોદના સાંસદે રેલ મંત્રી સમક્ષ સુપરફાસ્ટ ટ્રેનના સ્ટોપેજ અંગે રજૂઆત કરી..
તાજેતરમાં ચાલી રહેલા સંસદ સત્ર દરમિયાન દાહોદના સાંસદે રેલવે સંબંધી બાબતોને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી રેલ મંત્રી અરુણ વૈષ્ણવ જોડે શિષ્ટાચારની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન દાહોદ તેમજ આસપાસના વિસ્તારો માટે લાઈફલાઈન ગણાતી તેમજ નાના અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદ રૂપ સાબિત થતી બંધ પડેલી લોકલ ટ્રેનો ચાલુ કરવા અંગેની બાબતો અંગે વાકેફ કર્યા હતા. તો બીજી તરફ દાહોદ થી પસાર થતી 11 જેટલી સુપરફાસ્ટ ટ્રેનોના ચોપાઈ જંગે લાંબા સમયથી ચાલી રહેલી માંગને પૂર્ણ કરવા રજૂઆત કરવામાં આવી હતી. જેમાં કેટલીક ટ્રેનોના નજીકના સમયમાં પ્રશ્નનો હલ કરી દેવા માટે રેલ મંત્રી દ્વારા દાહોદના સાંસદને આશ્વાસન આપવામાં આવ્યું હતું.
કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં બંધ થયેલી લોકલ ટ્રેનોથી રેલવેને મોટું આર્થિક નુકસાન: દાહોદના વેપાર ધંધા પર માઠી અસર
કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં સંપૂર્ણ રેલવે બંધ થઈ જવા પામી હતી તેની સાથે સાથે દાહોદ તેમજ આસપાસના વિસ્તાર માટે લાઈફ લાઈન ગણાતી, દાહોદ વડોદરા મેમુ દાહોદ આણંદ મેમુ તેમજ દાહોદ વલસાડ ઇન્ટરસિટી તેમજ ફિરોજપુર મુંબઈ જનતા એક્સપ્રેસને બંધ કરી દેતા એક તરફ આ ટ્રેનોમાં રોજિંદી મુસાફરી કરતાં પાસ ધારકો, વેપાર અર્થે દાહોદ આવતા વેપારીઓ, તેમજ હોસ્પિટલ સહિતના અને કામો માટે આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના પગલે દાહોદના ધંધા રોજગાર ઉપર માઠી અસર પડી છે. તો બીજી તરફ આ ટ્રેનનો બંધ રહેવાથી રેલવે ને દાહોદ થી થતી કમાણીમાં ધરખમ ઘટાડો થતાં રેલવે ને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. રેલવે તંત્ર દ્વારા મળેલ આંકડા મુજબ વલસાડ દાહોદ ઇન્ટરસિટીની રોજિંદી એક લાખ રૂપિયાની ટિકિટો વેચાતી હતી, તો ફિરોજપુર મુંબઈ જનતા એક્સપ્રેસની રોજની 35,000 રૂપિયાની ટિકિટોનું વેચાણ હતું. જયારે આણંદ દાહોદ મેમુનો 25,000 તેમજ વડોદરા દાહોદ મેમુનું રોજનું ₹40,000 ની ટિકિટોનું વેચાણ હતું. ઉપરોક્ત ટ્રેનો બંધ પશ્ચિમ રેલવે ને રોજનું બે લાખ રૂપિયા નું નુકસાન દાહોદ થી થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે.