રાજેશ વસાવે, દાહોદ
નારી વંદન ઉત્સવ : બેટી બચાવો, બેટી પઢાવો દિવસ અંતર્ગત દાહોદ ખાતે કાર્યક્રમ યોજાયો
કાર્યક્રમમાં વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને મંજૂરીપત્રો અપાયા
દાહોદ, તા. ૨ :
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આવેલા સભાગૃહમાં નિવાસી અધિક કલેકટર શ્રી એ.બી. પાંડોરની અધ્યક્ષતામાં નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વ્હાલી દિકરી યોજનાના લાભાર્થી નાગરિકોને મંજૂરી પત્રો એનાયત કરાયા હતા. તેમજ જિલ્લાની રમતવીર છાત્રાઓને પ્રમાણપત્ર આપી બહુમાન કરાયું હતું.
નારી વંદન ઉત્સવ અંતર્ગત આજે બેટી બચાવો, બેટી પઢાવો અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એ. બી. પાંડોરે જણાવ્યું કે, આપણે દિકરીઓને ભણવા માટે પ્રોત્સાહિત કરવી જોઇએ. આ માટે તેમને તમામ સુવિધાઓ કરી આપવી એ આપણી ફરજ છે. સરકાર દ્વારા પણ આ માટે વ્હાલી દિકરી યોજના શરૂ કરવામાં આવી છે. જેનો અવશ્ય લાભ લેવો જોઇએ.
તેમણે એમ પણ જણાવ્યું કે, જિલ્લામાં દિકરીઓ ભણીને ઉજ્જવળ કારકિર્દી ઘડતર કરી શકે તે માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેઓ જિલ્લામાંથી જ ઉચ્ચ અભ્યાસ પણ કરી શકે છે. આ માટે બહારના જિલ્લામાં જવાની પણ જરૂર નથી. સાથે સાથે રમત ગમતમાં પણ આગળ વધવું જોઇએ તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી શ્રી પી.આર.પટેલે મહિલાલક્ષી યોજનાઓ, મહિલાઓના અન્ય કાયદાકીય હકો અંગે વિગતવાર માહિતી આપી હતી.
કાર્યક્રમમાં આઇસીડીએસ પ્રોગામ ઓફિસર સુશ્રી રમીલાબેન ચૌધરી, સમાજ સુરક્ષા અધિકારી શ્રી આર.પી. ખાટા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી શાંતિલાલ, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી જીગ્નેશ ડાભી, લીગલ કમ પ્રોબેશન ઓફીસર શ્રી એ.જી.કુરેશી સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.