રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ તાલુકાના ખરેડી પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ : ધારાસભ્યશ્રીના હસ્તે PMJAY કાર્ડનું કરાયું વિતરણ*
દાહોદ તા. ૧૪
રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તેમજ આરોગ્ય સેવાઓ લોકોના દ્વાર સુધી પહોંચાડવાના હેતુથી દાહોદ તાલુકાના ખરેડી ગામની પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિબિર દરમિયાન દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી તથા તાલુકા પંચાયત પ્રમુખશ્રી અનિલ કિશોરીના હસ્તે લાભાર્થીઓને PMJAY (આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શિબિર દરમિયાન આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY), નમો શ્રી યોજના, વય વંદના યોજના સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી, માર્ગદર્શન અને વ્યાપક IEC પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. ઉપસ્થિત નાગરિકોને યોજનાઓના લાભ, પાત્રતા અને અરજી પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ શિબિર દરમિયાન સ્થળ પર જ લાભાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરી વિવિધ યોજનાઓ હેઠળ નોંધણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આયુષ્યમાન કાર્ડ માટે ૪૪ લાભાર્થીઓની નોંધણી, નમો શ્રી યોજનાના ૧૧ ફોર્મ તથા વય વંદના યોજનાના ૮ ફોર્મ ભરવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય તપાસ અને નિદાન સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. શિબિરમાં કુલ ૧૬૩ વ્યક્તિઓની OPD તપાસ, ૪૧ બાળકોની RBSK હેઠળ આરોગ્ય તપાસ તેમજ ૩૮ વ્યક્તિઓના બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી હતી.
શિબિરમાં ઉપસ્થિત નાગરિકોએ આરોગ્ય સેવાઓ અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. આવા જનકલ્યાણ શિબિરો સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા તેમજ આરોગ્ય અંગે જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
આ પ્રસંગે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખશ્રી, સરપંચશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રી, ગામના આગેવાનો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આશા બહેનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
000
