રાજેશ વસાવે :- દાહોદ
દાહોદની રળીયાતી પાસે ઘરફોડ ચોરીનો ભેદ ખૂલ્યો: પોલિસે મુદ્દામાલ સાથે બે આરોપીઓને દબોચ્યા.!
દાહોદ તા.30

દાહોદ જિલ્લાના રળીયાતી નજીક બનેલી ઘરફોડ ચોરીની ઘટનાનો ભેદ દાહોદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નોંધપાત્ર સફળતા મેળવી છે.પોલીસે ચોરીમાં ગયેલા 100 ટકા મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ બે દિવસ અગાઉ અજાણ્યા તસ્કરોએ દાહોદના રળીયાતી અર્બન બેંક નજીક મનુભાઈ બેલિયા સાંસીના રહેણાંક મકાનમાં સિમેન્ટના પતરા તોડી એક મકાનમાં પ્રવેશ કર્યો હતો અને અંદરથી આશરે રૂ. 5.25 લાખના સોના-ચાંદીના દાગીના તેમજ રૂ. 50 હજારની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ દાહોદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ, બાતમીદારોની મદદ તથા સઘન તપાસના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
પકડાયેલા આરોપીઓમાં અજય રાજુ બેલિયા તથા યુવરાજ ઉર્ફે કાળો સંજય રાજેશ સિસોદિયાનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા બંને આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
દાહોદ પોલીસની ઝડપી કામગીરી અને સતર્કતાને સ્થાનિક નાગરિકો દ્વારા વખાણ મળી રહ્યા છે. આ કામગીરીથી પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હોવાનું જોવા મળી રહ્યું છે.
