બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકાના રાવળના વરૂણા ગામના 20 વર્ષીય યુવાને ગળાફાંસો ખાઈ મોત વહાલુ કરતા ચકચાર*
*મૃતક યુવાન અઢી માસ અગાઉ બહારગામ મજૂરી કામે ગયેલ હતો જેની લાશ પોતાના ઘર પાસે આવેલ આંબાના ઝાડ ઉપર દોરડાથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી*
સુખસર,તા.11
સુખસર તાલુકામાં સમયાંતરેક મોતના બનાવો બનવાના કિસ્સા પ્રકાશમાં સતત આવતા રહે છે.જેમાં વધુ એક બનાવ શનિવારના રોજ સુખસર પાસે આવેલ રાવળના વરુણા ગામના ૨૦ વર્ષિય યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘર પાસે આવેલ આંબાના ડાળ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ મોત વહાલું કરતા પરિવાર સહિત ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ સુખસર તાલુકાના રાવળના વરુણા ખાતે રહેતા પપ્પુભાઈ કલાભાઈ મકવાણા ખેતીવાડી તથા છૂટક મજૂરી ધંધો કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. જેઓને સંતાનમાં ત્રણ પુત્રો તથા એક પુત્રી હતા.જેમાં સૌથી મોટો પુત્ર નામે અંકુરભાઈ પપ્પુભાઈ મકવાણા(ઉંમર વર્ષ 20)ગત અઢી માસ અગાઉ પાલેજ ખાતે મજૂરી કામે ગયેલ હતો. જ્યારે ગુરૂવારના રોજ મૃતકના પિતા પપ્પુભાઈ મકવાણા તથા તેમના પત્ની આફવા ગામે બહેનને ત્યાં મહેમાન તરીકે ગયેલા હતા.જ્યારે તેમના અન્ય સંતાનો ઘરે હતા.ત્યારે પપ્પુ ભાઈનો નાનો પુત્ર શુક્રવાર સવારના 6 વાગ્યાના અરસામાં કુદરતી હાજતે જવા નીકળેલ તેવા સમયે બહારગામ ગયેલો પોતાનો ભાઈ અંકુર પોતાના ઘર પાસે આવેલ આંબાની ડાળ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાધેલ લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો.આ વાત આસપાસના લોકોને તથા મહેમાન ગયેલા પોતાના પિતાને કરતા ઘટના સ્થળે આસપાસ માંથી લોકો દોડી આવ્યા હતા.અને નીચે ઉતારી જોતા અંકુરનું મોત નીપજી ચૂકેલ હોવાનું જણાઇ આવતા હકીકતની જાણ સુખસર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
ઉપરોક્ત ઘટનાની મૃતક અંકુરભાઈના પિતા પપ્પુભાઈ કલાભાઈ મકવાણાએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને લાશના પંચનામા બાદ લાશને પી.એમ અર્થે સુખસર સરકાર દવાખાનામાં મોકલી આપી હતી. લાશના પી.એમ બાદ લાશનો કબજો તેમના વાલી વારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
