બાબુ સોલંકી :- સુખસર
*દાઉદી બોહરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબનું દાહોદમાં આગમન*
*ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ શહેરોની મુલાકાતનો પ્રારંભ*
સુખસર,તા.30
ફતેપુરા વિશ્વભરમાં વસેલા દાઉદી બોહરા સમાજના ધર્મગુરુ પરમપાવન સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ સોમવારે દાહોદ ખાતે પધાર્યા હતા.આ સાથે જ તેમણે ગુજરાત અને પડોશી રાજ્ય મધ્યપ્રદેશના વિવિધ નગરોની તેમની મુલાકાતનો પ્રારંભ કર્યો છે.ઝાલોદ રોડ પર આવેલી જમાલી સ્કૂલ ખાતે સૈયદના સાહેબના સ્વાગત માટે હજારોની સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા.જેમાં સ્થાનિક સત્તાધિકારીઓ અને સમાજના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પોતાના પ્રવાસ દરમિયાન, સૈયદના સાહેબ ફતેપુરા,સંજેલી, દેવગઢ બારિયા,અલીરાજપુર અને છોટા ઉદેપુર જેવા વિવિધ નગરોની મુલાકાત લેશે.જ્યાં તેઓ સમાજના સભ્યોને મળશે અને ધર્મસભાને સંબોધિત કરશે.
ફતેપુરામાં તેઓ ફખરી મસ્જિદ ખાતે પ્રવચન આપશે.જેમાં તેઓ પ્રમાણિકતા,સામાજિક જવાબદારી અને સમાજ સેવાના મૂલ્યો પર ભાર મૂકશે.સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે,આ મુલાકાતથી દાઉદી વ્હોરા સમાજ દ્વારા શિક્ષણ, કલ્યાણ અને સ્થાનિક વિકાસ ક્ષેત્રે ચાલી રહેલા પ્રયાસોને વધુ બળ મળશે.
આ મુલાકાતના આયોજન સાથે સંકળાયેલા સ્થાનિક કો-ઓર્ડિનેટર મુસ્તફા જડલીવાલાએ જણાવ્યું હતું કે,સૈયદના સૈફુદ્દીન સાહેબની નાના નગરોની મુલાકાત પાયાના સ્તરે સામાજિક જોડાણને મજબૂત કરવામાં અને સામાજિક તેમજ વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે પ્રોત્સાહિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.દાઉદી બોહરા સમાજ ‘પ્રોજેક્ટ રાઈઝ’ જેવા પ્લેટફોર્મ હેઠળ શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ ક્ષેત્રે તેમના યોગદાન માટે જાણીતો છે.અને શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં નિયમિતપણે આવા કાર્યક્રમો યોજતું રહેશે.
