સુખસર તાલુકાના લખણપુર જાંબાસર તળાવમાં બંધ પડેલ ઇરીગેશન શરૂ કરી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા માંગ
જામ્બાસર તળાવ એરીગેશનની શરૂઆતમાં 146 ખેડૂત સભ્યો, જ્યારે હાલમાં માત્ર દશ થી બાર સભ્યો દ્વારા સંચાલન
બાબુ સોલંકી:સુખસર
સુખસર,તા.3

દાહોદ જિલ્લાના ફતેપુરા તથા સુખસર તાલુકામાં અનેક તળાવો આવેલા છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેડૂતોને આ તળાવોમાં સંગ્રહ થયેલ પાણી રવિ પાકો માટે ખેડૂતોને પાણી મળી રહે તેટલો સ્ટોક પણ જોવા મળે છે.તેમ છતાં સ્થાનિક જવાબદારો તેમજ સરકાર દ્વારા ધ્યાન નહીં અપાતા ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે કામ કરતાં ખેડૂત સંગઠનોએ સ્થાનિક ગરીબ ખેડૂતોને સિંચાઈની સુવિધા માટે પાણી મળી રહે તે પ્રત્યે ધ્યાન આપવાની ખાસ જરૂરત જણાઈ રહી છે.
સુખસર તાલુકામાં ત્રણ જેટલા સિંચાઈ તળાવો આવેલા છે. પરંતુ આ તળાવો થી નહેર દ્વારા જે-તે ગામડાઓના ખેડૂતોને પાણી પહોંચાડવા સરકાર દ્વારા આયોજન કરવામાં આવેલ હતું તેમાં પણ સ્થાનિક જવાબદારોના પાપે નહેરોની સ્થિતિ બિસ્માર હાલતમાં જોવા મળે છે.જ્યારે લખણપુરના જામ્બાસર ખાતે પણ મોટું તળાવ આવેલ છે.જેમાં વર્ષ દરમિયાન પાણીનો સ્ટોક પણ સારી એવી માત્રામાં રહે છે.જો કે આ તળાવમાં વર્ષ 2001માં જામ્બાસર તથા લખણપુર ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા માટે એરીગેશન કરવામાં આવેલ છે.પરંતુ થોડા સમય સુધી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળ્યા બાદ છેલ્લા આઠેક વર્ષથી લખણપુર ગામના ખેડૂતોને પાણી નહીં મળતા ઈરીગેશન મૃત:પ્રાય અવસ્થામાં આવી જતા ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે.જોકે તુટ ફૂટ થયેલ ઇરીગેશન લાઈન સુધારવામાં આવે તેમજ નવીન પાઇપલાઇન નાખવામાં આવે તો લખણપુર,જામ્બાસર ના ખેડૂતોને લાભ મળવા સાથે હડમત તથા કાળીયા ગામને પણ સિંચાઈના પાણી માટે થોડા અંશે લાભ થઈ શકે તેમ છે.જાંબાસર તળાવમાં જાંબાસર સહિત લખણપુરના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રવિ સિઝનના પાકો માટે પાણી મળી રહે તેમ હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા ધ્યાન નહીં અપાતા ખેડૂતો સિંચાઈના પાણી માટે મુશ્કેલી ભોગવી રહ્યા છે.
નોધનિય છે કે,લખણપુરના જામ્બાસર તળાવ ઇરીગેશન યોજનામાં વર્ષ 2001 માં એરીગેશન ચાલુ થયું ત્યારે તેમાં 146 જેટલા સભાસદો હતા.તેમજ લખણપુર તળગામ ખાતે 288 એકર વિસ્તારમાં જ્યારે લખણપુર-2 જામ્બાસરના 160 એકર વિસ્તારમાં એરીગેશન થી પાણી પહોંચાડવામાં આવતું હતું.પરંતુ છેલ્લા આઠેક વર્ષથી આ ઇરીગેશન મા કોઈ જવાબદારો દ્વારા ધ્યાન નહીં અપાતા હાલ આ એરીગેશન મૃત:પ્રાય અવસ્થામાં આવી ગયેલ છે.અને હાલમાં આ તળાવ ઇરીગેશન દ્વારા માત્ર બાર થી પંદર જેટલા ખેડૂતો પોતાના ખર્ચે મોટર લાવી,વીજ બિલ ભરી, ઓપરેટરને પગાર આપી રહ્યા છે. અને સિંચાઈ માટે પાણીનો લાભ મેળવી રહ્યા છે.ત્યારે આ તળાવનુ નવેસરથી ઇરીગેશન કરી તેમાં લોખંડની પાઇપો નાખી એરીગેશન ચાલુ કરી ખેડૂતોને પાણી આપવામાં આવે તેવી સ્થાનિક ખેડૂતો માંગ કરી રહ્યા છે.જ્યારે હાલમાં ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી રમેશભાઈ કટારા સુખસર વિસ્તારના જ હોય આ એરીગેશનનુ નવીનીકરણ કરી જાંબાસર સહિત લખણપુર ગામને સિંચાઈના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી ખેડૂતો માં માંગ પ્રવર્તી રહી હોવાનું જાણવા મળે છે. ત્યારે વહેલી તકે લાગતા વળગતા તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે.
