
દેવગઢબારિયા-ધાનપુર બાદ હવે મનરેગા કૌભાંડ સિંગવડ સુધી પહોંચશે.?
સિંગવડમાં મનરેગાના 19 કામોમાં 88.51 લાખના કૌભાંડના આક્ષેપો સાથે ફુલપરી ગામના અગ્રણીઓએ તાલુકા વિકાસ અધિકારીને આપ્યો આવેદન..!!
મનરેગાના કર્મચારીઓ તેમજ 9 જેટલી એજન્સીઓ વિરુદ્ધ આવેદન નામજોગ રજૂઆત.
દાહોદ તા.17
દાહોદ જિલ્લામાં એક તરફ ધાનપુર તેમજ દેવગઢ બારીયાના વિવિધ ગામોમાં મનરેગા કૌભાંડના આક્ષેપો બાદ સંબંધિત વિભાગ દ્વારા સ્થળ તપાસણી દરમિયાન વચગાળાના અહેવાલના આધારે ફોજદારી ગુના દાખલ કરવામાં આવ્યા છે. ઉપરોક્ત ગામોમાં મનરેગાના કરોડો રૂપિયાના અધૂરા કામો તેમજ બીનપાત્રતા ધરાવતી માલ સપ્લાય કરતી એજન્સીઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન સિંગવડ તાલુકાના ફુલપરી ગામે 2021 થી 2024 દરમિયાન મનરેગાના 19 કામોમાં 88.51 લાખના કોભાંડો આચર્યા હોવાના આક્ષેપો સાથે સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પાઠવી મનરેગાના કામોમાં સ્થળ તપાસણી અને બિલોના ચુકવણા અંગે તપાસ હાથ ધરવા ગ્રામજનો દ્વારા ગંભીર પ્રકારની રજૂઆત કરવામાં આવી છે. જેના પગલે હવે દેવગઢ બારિયા અને ધાનપુર બાદ સિંગવડ તાલુકામાં પણ મનરેગા કૌભાંડ બહાર આવવાની આશંકાઓ સેવાઈ રહી છે.
સિંગવડ તાલુકાના ફુલપરી ગામના ડામોર સોમજીભાઈ કીડીયાભાઈ વગેરેઓએ મનરેગાના કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાના ગંભીર આક્ષેપો સાથે તાલુકા વિકાસ અધિકારી સીંગવડને રજૂઆત સહ આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે સિંગવડની પાતા ગ્રામ પંચાયત હેઠળ આવતા કુલપરીમા 2021 થી 2024 દરમિયાન 14 લાભાર્થીઓ બતાવ્યા છે.તેમજ સ્ટોનબંધ અને તેમના 19 કામોમાં 88.51 લાખ રૂપિયાના કામ કર્યા વગર ચુકવણા કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં આ કામોમાં ગ્રામ રોજગાર સેવક રાજેશ સોની,એપીઓ નિધીબેન, માંગીલાલ પ્રજાપતિ TDO ટેકનિકલ પ્રેમનાથ પ્રજાપતિ સહિતનાઓએ શિવમ ટ્રેડર્સ, ભીંડ ભંજન ટ્રેડર્સ, માં ભમરેચી કાર્ટિંગ સપ્લાયર્સ, મહાલક્ષ્મી ટ્રેડર્સ, સ્વર્ણિમ ટ્રેડર્સ, વ્રજવાસી ટ્રેડર્સ અર્પિત ટ્રેડર્સ, તેમજ અન્ય એક મળી 9 જેટલી માલ સપ્લાય કરતી એજન્સીના પ્રોપરાઇટરોએ મનરેગા શાખાના અધિકારી કર્મચારીઓ સાથે મેળા પીપણા કરી કથિત કૌભાંડ આચર્યા હોવાના નામજોગ આક્ષેપો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.જોકે ગ્રામજનોની રજૂઆત સંદર્ભે તાલુકા વિકાસ અધિકારી તેમજ મનરેગાના સંબંધિત કચેરી ડીઆરડીએ નિયામક તેમજ જિલ્લા પંચાયત દ્વારા આ મામલે ગંભીર નોંધ લે અને સ્થળ તપાસણી કરે તેવી માંગણી હવે ઉઠવા પામી છે. ત્યારે હવે મનરેગાના કૌભાંડમાં તપાસ કરનાર એસ આઈ ટી ની ટીમ હવે તપાસનો દોર સુધી પણ લઈ જાય છે કે કેમ તે હવે જોવું રહ્યું.?