
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં ગોડલથી MP જતી લક્ઝરી બસ પલટી:13 શ્રમિકો ઇજાગ્રસ્ત…
દાહોદ તા.16
ઇન્દોર-અમદાવાદ હાઇવે પર દાહોદના જેકોટ નજીક છાયણ ઘાટીમાં આજે સોમવારે વહેલી સવારે એક ખાનગી બસ પલટી ખાઈ ગઈ હતી.અકસ્માતમાં 13 શ્રમિક પરિવારના મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં ગોંડલથી મધ્યપ્રદેશ જઈ રહેલી બસમાં શ્રમિકો અને તેમના પરિવારો વતન પરત ફરી રહ્યા હતા.
છાયણ ઘાટીના રસ્તા પર બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ લપસીને પલટી ગઈ હતી. અકસ્માતમાં બસના કાચ તૂટી ગયા અને મુસાફરોનો સામાન રસ્તા પર વિખેરાઈ ગયો હતો. જેમાં મુસાફરોને માથા, હાથ-પગ અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ છે.108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમામ ઈજાગ્રસ્તોની હાલત સ્થિર છે. પોલીસ અને હાઇવે ઓથોરિટીએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. બસને રસ્તાની બાજુમાં ખસેડી ટ્રાફિક સામાન્ય કરવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત અંગે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.