બાબુ સોલંકી :- સુખસર
*સંજેલી તાલુકામાં ચાલતા રસ્તાઓની કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવા બાબતે ગાંધીનગર ખાતે રજૂઆત*
*સંજેલી તાલુકામાં ચાલતા રસ્તાઓની કામગીરીની તપાસ નહીં થાય તો તકેદારી આયોગ સહિત નામદાર કોર્ટમાં જવા અરજદારની ચીમકી*
*રસ્તાઓની કામગીરીમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે અકસ્માત થતા હોવાનો આક્ષેપ*
સુખસર,તા.9
સંજેલી તાલુકામાં માર્ગ અને મકાન પેટા વિભાગ(પંચાયત)ઝાલોદ દ્વારા ચાલી રહેલા રસ્તાઓની કામગીરીમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવતી હોવાની બૂમો ઊઠવા પામેલ છે.જે બાબતે સંજેલીના એક જાગૃત નાગરિકે મુખ્ય ઇજનેર માર્ગ અને મકાન વિભાગ(પંચાયત) સચિવાલય,ગાંધીનગર. અધિક્ષક ઇજનેર વડોદરા, કાર્યપાલક ઇજનેર દાહોદ તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર ઝાલોદના ઓને કામગીરીની તટસ્થ તપાસ હાથ ધરી કોન્ટ્રાક્ટરના બિલના નાણા સ્થગિત કરવા રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ દાહોદ જિલ્લાના માર્ગ અને મકાન પેટા વિભાગ(પંચાયત)ઝાલોદના સંજેલી તાલુકામાં ચાલતા રસ્તાના કામોમાં વ્યાપક પણે ગેરરીતી આચરવામાં આવતી હોવા બાબતે રજૂઆત કરવામાં આવી છે.અને આક્ષેપમાં જણાવવામાં આવ્યું છે કે,ઝાલોદ માર્ગ અને મકાન વિભાગ પંચાયતના નાયબ કાર્યપાલક ઇજનેરને છેલ્લા દસ દિવસથી રજૂઆત કરવામાં આવેલ છે.તેમ છતાં તંત્રની બેદરકારીથી કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું કામ ચાલુ રાખેલ છે.અને આ કામગીરી એજન્સી દ્વારા મનસ્વી રીતે કરવામાં આવતા સરકારના નાણાંનો દૂર ઉપયોગ થઈ રહ્યો હોય સત્વરે ગાંધીનગરથી તપાસથી મોકલી તટસ્થ તપાસ થાય અને એજન્સીના નાણા રોકી ફરી એસ્ટીમેન્ટ મુજબનું કામ થાય તેવી માંગ કરવામાં આવી હોવાનું જણવા મળે છે.
વધુમાં જણાવવામાં આવ્યું છે કે, સંજેલી તાલુકાના ઊંડાણના ગામોમાં જે રીસરફેસના કામો ચાલે છે જેમાં નાળાના કામમાં પાઇપો છૂટી ન પડે તે હેતુથી કેડલ ભરવાનો હોય છે.તેમજ પેચમાં મેટલ પણ ભરેલ નહીં હોવાનું અને એસ્ટીમેન્ટ મુજબ ડામરની ટકાવારી નાખવાની હોય છે જે નાખવામાં નહીં આવી હોવાની રજૂઆત કરવામાં આવી છે.તેમજ આ કામગીરીમાં કેમિકલ વાપરવાનું હોય છે.તેમ છતાં આ કામગીરી નહીં કરી જે જુના નાળા સારી હાલતમાં હતા તેને તોડી નાખી તંત્ર અને કોન્ટ્રાક્ટરની મીલી ભગતથી કોન્ટેટી સરભર કરવા તેને તોડીને બારોબાર પાઇપો નાખી સેન્ટીંગની પ્લેટો મારી પથ્થરો ગોઠવી મિક્સર મશીનમાં માલ બનાવી દિવાલ નાળા ભરી વિપુલ પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.તેમજ જણાવવામાં આવ્યું છે કે,હાલમાં કેટલીક જગ્યાએ ડ્રાઈવર્ઝનના અભાવે અકસ્માતો થાય છે.જેમાં સંજેલી તાલુકામાં ડાઈવર્ઝનના અભાવે અકસ્માત થતા એક વ્યક્તિ મોતને ભેટ્યો હોવાનું પણ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે.તેમજ સંજેલી તાલુકામાં થઈ રહેલી રસ્તાઓની કામગીરીની યોગ્ય તપાસ અને કામગીરી નહીં થાય તો આખરે અરજદાર દ્વારા તકેદારી આયોગ સહિત નામદાર કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હોવાનું જાણવા મળે છે.