Sunday, 08/09/2024
Dark Mode

કોરોનાનો ખતરો…..સંતરામપુરનો વોર્ડ નંબર-2 કંટેઇન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરાયો

કોરોનાનો ખતરો…..સંતરામપુરનો વોર્ડ નંબર-2 કંટેઇન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરાયો

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તાલુકામાં સંતરામપુર નગરપાલિકાના વોર્ડ નંબર-૨ના વિસ્તારને COVID – 19 Containment Area તરીકે જાહેર કરવામાં આવે છે,સંતરામપુર તાલુકામાં સંતરામપુર નગરપાલિકાના વોર્ડ નંબર-૨ના વિસ્તારમાં તમામ પ્રકારની અવર – જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે.સંતરામપુર નગરપાલિકાના સમગ્ર વિસ્તારને બફર જોન તરીકે જાહેર કરાયો

સંતરામપુર તા.25

સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશના કેટલાક વિસ્તારોમાં COVID – 19 ના કેસો તપાસ દરમ્યાન બહાર આવી રહ્યા છે. તેની અસરને નિયંત્રિત કરવા માટે તા.૦૩/૦પ/ર૦૨૦ સુધી કેન્દ્ર સરકાર દ્વારા આમુખ (૭)થી લોકડાઉનનો સમયગાળો વધારવા નિર્ણય કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આમુખ (૮) થી ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જરૂરી જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં સંતરામપુર નગરપાલીકાના વોર્ડ નંબર-૨ માં વાયરસ COVID-19 નો એક (૧) પોઝીટીવ કેસ પ્રકાશમાં આવેલ છે. આ કોરોના વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર – જવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરીયાત જણાય છે.

જેથી શ્રી આર.બી. બારડ, (I.A.S) કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ, મહીસાગર, નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ની કલમ – ૨૬ (૨) મુજબ તેમજ ધી એપેડેમિક ડિસિઝ એકટ – ૧૮૯૭ની કલમ -૨ તેમજ આમુખ (૬) થી મળેલ સત્તાની રૂએ નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ -૩૦ તથા કલમ – ૩૪ હેઠળ નીચે દર્શાવેલ કૃત્ય ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

COVID-19ના (૧) એક પોઝેટીવ કેસ મળી આવેલ સંતરામપુર તાલુકામાં સંતરામપુર નગરપાલીકાના વોર્ડ નંબર-૨ માં જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિગેરે આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘરે પૂરું પાડવામાં આવશે.

આ વિસ્તારના એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે, આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે, આવશ્યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવાન જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયંત્રણ કરવામાં આવશે.

સંતરામપુર તાલુકામાં સંતરામપુર નગરપાલીકાના વોર્ડ નંબર-૨ને containment Area તરીકે જાહેર કરેલ છે ઉપરાંત સંતરામપુર નગરપાલિકાના સમગ્ર વિસ્તારને બફર જોન (BUFFER ZZON) તરીકે જાહેર કરી આ વિસ્તારની હદને સીલ કરવામાં આવે છે. ઉપર્યુકત વિસ્તારમાં આવશ્યક સેવાઓના પુરવઠા સંબંધિત અવર – જવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવામાં આવશે. આવશ્યક ચીજ વસ્તુઓની ખરીદી માટે ગામની હદની અંદર માત્ર સવારે ૮-૦૦ કલાકથી ૧૨-૦૦ ક્લાક સુધી મુક્તિ આપવામાં આવી છે.

આ જાહેરનામું સરકારી ફરજ-કામગીરી કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી, સરકારી / ખાનગી દવાખાનાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા, કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલ જાહેર સેવક કે જેવો કાયદેસરની ફરજ પર હોય તેઓને તેમજ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમ નં૪૦-૩/ DM-I(A) તા. ૨૪/૦૩/૨૦૨૦, તા.૨૫/૦૩/૨૦૨૦, તા. ૨૭/૦૩/૨૦૨૦, તા. ૨૯/૦૩/૨૦૨૦, તા. ૦૨/૦૪/૨૦૨૦, તા. ૦૩/૦૪/૨૦૨૦, તા. ૦૬/૦૪/૨૦૨૦, તા. ૧૦/૦૪/૨૦૨૦ ના હુકમ થી જાહેર કરેલ તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વખતોવખત જાહેર કરવામાં આવતી આવશ્યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારીશ્રી દ્વારા પાસ ઇસ્યુ કરવામાં આવેલ છે તેવા વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહી.

આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮, ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૧૩૧, ૧૩૫ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ની કલમ ૫૧ થી ૫૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. મહીસાગર જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી, પોલીસ સબ ઇન્સપેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ઇસમો વિરૂધ્ધ કલમ-૧૮૮ મુજબ ફરીયાદ માટે અધિકૃત કરવામાં આવે છે. આ હુકમની બજવણી કરવી વ્યક્તિગત રીતે શક્ય ન હોય એકતરફી હુકમ કરવામાં આવે છે.

આ જાહેરનામાનો તા. ૨૫/૦૪/૨૦૨૦ના ૦૦:૦૦ કલાક થી તા.૦૮/૦૫/૨૦૨૦ના ૨૪:૦૦ કલાક સુધી (બન્ને દિવસો સહિત) અમલ કરવાનો રહેશે

error: Content is protected !!