સશક્તિકરણના નામે કોરોના વોરિયર્સના થતા શોષણ સામે આજે મહિલા શકિત સેના દ્વારા સંતરામપુર ખાતે મિટિંગ કરી લડતનો આગાઝ કરવામાં આવ્યો હતો. જેમાં મહિલા શકિત સેનાના પ્રમુખ ચંદ્રિકાબેન સોલંકી અને રજનીકાંત ભારતીય એ હાજરી આપી હતી.લાંબા સમયથી મહિલાઓ, આશાવર્કર ફેસિલિટેટર અને આંગણવાડી વર્કર માટે લડત ચલાવતા ચંદ્રિકાબેન સોલંકીએ જણાવ્યું હતુ કે ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણ ના દાવા કરે છે બીજી બાજુ ખુબ જ ઓછુ વેતન ચુકવી આશાવર્કર અને ફેસિલિટેટર જેવા કોરોના વોરિયર્સનું શોષણ કરી રહી છે અત્યારે ઈમ્યુનિટી વધારવાની જરૂર છે ત્યારે તેત્રીસ રૂપિયા મા એક સફરજન પણ આવતુ નથી એ સરકારે સમજવું જોઈએ.
આરોગ્ય વિભાગના ગોઠીબ પીએચસી ના કોરોના વોરિયર શકુભાઈ સોલંકીને આઉટસોર્સિંગ એજન્સી ડી.જી.નાકરાણી દ્વારા ખોટા કારણ આપી નોકરીમાંથી છુટા કરવામાં આવ્યા છે જેના વિરોધમાં ગુજરાત જનતા જાગૃતિ મંચ ના પ્રમુખ રજનીકાંત ભારતીય ગાંધીજયંતીના રોજ લુણાવાડા જીલ્લા પંચાયત ખાતે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરી રહ્યા છે જેમા આઉટસોર્સિંગ કર્મચારીઓની સાથે મોટી સંખ્યામાં આશાવર્કર અને ફેસિલિટેટરો પણ જોડાય એવી સંભાવના છે..