મહીસાગર વન વિભાગના કર્મચારીઓએ સ્થળ પર જઇને તપાસ કરતા દીપડો હોવાનું જાણવા મળ્યું
સંતરામપુર. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઉંબેર ટેકરા પાસે વાઘ હોવાનો વીડિયો હોવાનો ગ્રામજનોએ વાઈરલ કર્યો હતો. જોકે મહિસાગર વન વિભાગે આ પ્રાણી વાઘ નહીં પણ દીપડો હોવાની પુષ્ટિ કરી છે અને વાઘ હોવાની અફવા ફેલાવનાર વીડિયોની સાથે વન વિભાગના કર્મચારીઓ લીધેલી દીપડાની તસવીરો પણ જાહેર કરી છે.સંતરામપુરના જંગલમાં વાઘ નહીં દીપડો હોવાની વન વિભાગની પુષ્ટિ કરી હતી.
મહીસાગર વનવિભાગે તસવીરો સાથે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, 25 મેના રોજ સંતરામપુર તાલુકાના ઉંબેર ટેકરા ગામ નજીક જનતા દ્વારા વાઘ જોયા બાબતનો વીડિયો બનાવી વાઈરલ થયેલી છે, જે બાબતે મહીસાગર વન વિભાગના કર્મચારી દ્વારા સ્થળ પર જઇને તપાસ કરતા વીડિયોમાં દેખાતુ પ્રાણી વાઘ નહીં પરંતુ દીપડો છે, જેનો ફોટો પાડી વન વિભાગ દીપડો હોવાની પુષ્ટિ કરે છે. વધુમાં તે જગ્યા ચિબોટા નદી કિનારાનો ભાગ છે, જ્યાં વન્ય પ્રાણીઓ ઉનાળાના દિવસોમાં પાણીની શોધમાં અવારનવાર નદી કિનારે વિહરતા હોય છે. જેથી વાઈરલ વીડિયોમાં વાઘ બાબતે ખોટી અફવા ફેલાઇ છે, તે ખોટી છે, તે પ્રાણી હકીકતમાં દીપડો છે.
સંતરામપુરા તાલુકાના વન વિભાગના આરએફઓએ કહ્યું કે, વીડિયોમાં જે દેખાય છે દીપડો છે, વાઘ નથી.
સંતરામપુર તાલુકાના વન વિભાગના આરએફઓ અલ્પેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, વીડિયોમાં જે દેખાય છે દીપડો છે, વાઘ નથી. અત્યારે આપણા વિસ્તારમાં એક પણ વાઘ નથી. જંગલમાં પાણી ન મળવાથી દીપડા ગ્રામ્ય વિસ્તારોમાં આવી જતા હોય છે.મહીસાગર જિલ્લાના જંગલમાં ફેબ્રુઆરી-2019માં વાઘ દેખાયા બાદ મૃતદેહ મળ્યો હતો
ઉલ્લેખનીય છે કે, મહીસાગર જિલ્લાના જંગલમાં ફેબ્રુઆરી-2019માં વાઘ દેખાયો હતો. જોકે બાદમાં તે વાધનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે હવે મહીસાગર જિલ્લાના જંગલમાં વાઘ હોવાની અફવા ફેલાઇ હતી. જોકે વન વિભાગે વીડિયોમાં દીપડો હોવાની વાતની પુષ્ટિ કરી છે.