દાહોદમાં તાઉ-તે વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા ૩૮ ટીમો બનાવાઇ:ખુલ્લામાં રહેતા પરિવારોને સલામત સ્થળે ખસેડવા કલેક્ટરશ્રી વિજય ખરાડીની સૂચના
જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં અગ્નિશમન અને પાવર બેકઅપ વ્યવસ્થાની કરાઇ ચકાસણી
દાહોદ તા.17
અરબી મહાસાગરમાં સર્જાયેલા તાઉ-તે ચક્રવાતની પૂરોગામી તથા અનુગામી અસરને પગલે દાહોદ જિલ્લામાં ભારે પવન ફૂંકાવા ઉપરાંત હળવા વરસાદ પડવાની શક્યતાને ધ્યાને રાખીને કોઇની જાનમાલની નુકાસાની ના થાય એ માટેની તૈયારીઓ કરવામાં આવી છે. ખાસ કરીને કોવિડની સ્થિતિને ધ્યાને રાખીને હોસ્પિટલમાં ઓક્સીજન અને વીજ પુરવઠો જળવાઇ રહે તેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ ઉક્ત બાબતે જણાવ્યું છે કે, કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. ભારે પવન ફૂંકાવાની શક્યતાને ધ્યાને રાખીને ખુલ્લામાં રહેતા પરિવારોને સલામત સ્થળે ખસેડવા માટે સૂચના આપવામાં આવી છે. જેથી કોઇ પણ પ્રકારની જાનહાની નિવારી શકાય.
દાહોદમાં વિવિધ વિભાગની કુલ ૩૮ ટીમો બનાવવામાં આવી છે. જેમાં વન વિભાગની ૯, માર્ગ અને મકાન વિભાગની બે ટીમ, વીજ કંપનીની ૧૦, આરોગ્યની ૮, મહેસુલ વિભાગની ૯ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમો દ્વારા પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
આરોગ્ય અધિકારીઓ દ્વારા દાહોદ જિલ્લાની સરકારી તથા બિન સરકારી કોવિડ હોસ્પિટલમાં તાઉ-તેના સંદર્ભમાં ચકાસણી કરવામાં આવી છે. જેમાં પાવર બેકઅપ, ફાયરની સુવિધાની ચકાસણી કરવામાં આવી છે. આ ઉપરાંત વન વિભાગની ટીમો દ્વારા રાજમાર્ગો ઉપર તૂટી પડે તેવી વૃક્ષોની ડાળીઓ કાપવામાં આવી છે.
ભારે પવન ફૂંકાવાના કારણે હોર્ડિંગ ઉડવાની ઘટના ટાળવા માટે નગરપાલિકાઓ દ્વારા ૭૩ હોર્ડિંગ્ઝ ઉતારવામાં આવ્યા છે. આ ઉપરાંત અનેક નાનામોટા બેનર ઉતારી લેવામાં આવ્યા છે.
દાહોદની હોસ્પિટલમાં ઓક્સીજન પહોંચાડવા માટે ગ્રિનકોરી ડોર બનાવવામાં આવ્યા છે. આમ તો દાહોદમાં આવતા પ્રવાહી મેડિકલ ઓક્સીજનના ટેન્કરને ગ્રિન કોરીડોર મારફત તેના રિફિલિંગ પ્લાન્ટ સુધી લઇ જવામાં આવે છે. હવે, આ સ્થિતિને ધ્યાને રાખીને દાહોદમાં રિફિલિંગ પ્લાન્ટથી લઇ હોસ્પિટલ સુધીના રસ્તામાં કોઇ અવરોધ ઉભો ના થાય તેની તકેદારી રાખવામાં આવી છે.
૦૦૦