લીમખેડા ઝાલોદ હાઈવે પર મોટા હાથીધરા ગામે કાળમુખી ટ્રકની અડફેટે બે વિધાર્થીનીઓના ઘટનાસ્થળે પ્રાણપંખેરુ ઉડ્યા:પરિવારમાં માતમ છવાયો
ધોરણ 12 માં અભ્યાસ કરતી બન્ને વિધાર્થીનીઓના મોતના પગલે પરિવારજનો આઘાતમાં
અકસ્માત બાદ ચાલક ટ્રક સ્થળ પર મુકી ફરાર: માર્ગ અકસ્માતના પગલે લોકટોળા જામ્યા.
લીમખેડા પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને વિદ્યાર્થીનીઓના મૃતદેહને પીએમ માટે નજીકના હોસ્પિટલ મોકલી તપાસ હાથ ધરી..
દાહોદ તા.13
લીમખેડા ઝાલોદ હાઇવે પર મોટા હાથીધરા ગામ નજીક રસ્તા પર માતેલા સાંઢની જેમ ધસી આવેલા ટ્રકે સ્કૂલેથી ઘરે જઈ રહેલ બે વિદ્યાર્થીનીઓને અડફેટે લેતા બંને વિદ્યાર્થીનીઓને શરીરે જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓના ઘટનાસ્થળે પ્રાણપંખેરુ ઊડી જતા ચકચાર મચી જવા પામી છે. પોતાની વહાલસોયી દીકરીઓ ગુમાવતા બંને પરિવારો આઘાતમાં સરી પડ્યા હતા જ્યારે બંને વિદ્યાર્થીનીઓના મોતના પગલે પંથકમાં માતમ છવાઈ જવા પામ્યો હતો.
વધુમાં થી માહિતી પ્રમાણે લીમખેડા ઝાલોદ હાઈવે પર સ્થિત તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 12માં ધોરણમાં અભ્યાસ કરી રહેલ બે વિદ્યાર્થીનીઓ પગપાળા ઘરે જઈ રહી હતી. ત્યારે રસ્તામાં માતેલા સાંઢની માફક ધસી આવેલ કાલમુખી ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બંને વિદ્યાર્થીઓને અડફેટમાં લઈ જોશભેર ટક્કર મારી ટ્રકનો ચાલક પોતાના કબજાની ટ્રક સ્થળ પર મૂકી નાસી ગયો હતો ગંભીર ઈજાગ્રસ્ત બંને વિદ્યાર્થીઓના ઘટનાસ્થળ પર જ પ્રાણપંખેરૂ ઉડી ગયા હતા ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને બંને મૃતક વિદ્યાર્થીઓના મૃતદેહનો કબ્જો લઈ નજીકના દવાખાને પોસ્ટ મોર્ટમ અર્થે રવાના કરી દેવામાં આવ્યા હતા ઘટનાને પગલે મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોમાં હૈયાફાટ રૂદનથી પંથકમાં માતમ છવાઈ ગયો હતો અને આ સંબંધે પોલીસે ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે.