જીગ્નેશ બારીયા :- દાહોદ
મોટીવાવમાં અતિશય વરસાદથી કાચું મકાન ધરાશાયી થતાં વૃદ્ધનું મોત
વૃદ્ધ એકલવાયું જીવન ગુજારતા હતા,લીમખેડા TDO તથા તલાટીની કાર્યવાહી
દાહોદ તા.૨૬
લીમખેડા તાલુકાના મોટીવાવ ગામે અતિશય વરસાદને કારણે કાચુ મકાન ધરાશાયી થતા 85 વર્ષના વૃદ્ધનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ હતા લીમખેડા TDO તથા ત.ક.મંત્રીએ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. લીમખેડા તાલુકામાં રવિવારે વહેલી સવારથી જ મુશળધાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું.
ધોધમાર વરસાદ અને પવનના સૂસવાટાને કારણે બપોરે 3.30 વાગ્યાના સુમારે એકલવાયું જીવન ગુજારતા મોટીવાવ ગામના 85 વર્ષીય વૃદ્ધ રામસિંગભાઈ માનાભાઈ તડવીનું કાચું મકાન ધરાશાયી થયું હતું.મકાનના કાટમાળ નીચે વૃદ્ધ રામસિંગભાઈ તડવી દબાઈ જતા તેમને ગંભીર ઇજાઓ થવાથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતા લીમખેડા તાલુકા વિકાસ અધિકારી એફ.વી.બારીયા તથા મોટીવાવ ગ્રામ પંચાયતના ત.ક.મંત્રી પ્રભાતસિંહ પટેલ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેઓએ મૃતક રામસિંગભાઈ તડવીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પ્રક્રિયા માટેની તજવીજ હાથ ધરી સરકારી સહાય માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.