વસાવે રાજેશ દાહોદ
દાહોદ નગરપાલિકા દ્વારા દુકાનોની ફાળવણી બાબતે આદિવાસી સમાજને 50% અનામતની સાથે દુકાનો ફાળવવા ભીલપ્રદેશ મુક્તિ મોરચાનું આવેદન
દાહોદ. : – ૨૬
દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત રસ્તા પહોળા કરવા માટે વહીવટી તંત્ર દ્વારા માર્ગમાં અવરોધ રૂપ આવતા દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો.વહીવટી તંત્ર દ્વારા ચાલેલી બે અઠવાડિયાની દબાણ હટાવ ઝુંબેશમાં પાલિકા હસ્તકના શોપિંગ સેન્ટરો તેમજ અન્ય દબાણ દૂર કરવામાં આવ્યા હતા જેમાં 264 જેટલી દુકાનો તોડી પાડવામાં આવી હતી. જેના પગલે વેપારીઓ વિસ્થાપિત થતા પાલિકા દ્વારા તેઓની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે ગતરોજ સામાન્ય સભાની બોર્ડમાં ઠરાવ કરી અને કોઈ જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરી દુકાનદારોને રી અલોટમેન્ટ કરી દુકાનો ફાળવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે જોકે આ દરમિયાન ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા 1976 ના ઠરાવ મુજબ શિડ્યુલ ફાઈવ એરિયામાં પાલિકા દ્વારા બાંધવામાં આવતા કેબીનો દુકાનો અથવા સ્ટોલોમાં અનામત જગ્યા ફાળવવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત દાહોદમાં પણ પાલિકા દ્વારા આવનારા સમયમાં વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે દુકાનો બાંધવાના છે જેમાં સરકારી નીતિ નિયમ પ્રમાણે હરાજી બોલાવી રી એલોટમેન્ટ કરવામાં આવે તેમજ શીડ્યુલ ફાઈવ એરિયામાં આદિવાસીઓના બંધારણીય હક મુજબ 50% અનામત ફાળવવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ગાંધીનગર, વડોદરા, કલેકટર શ્રી, દાહોદ નગરપાલિકા પ્રમુખ, દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર, દાહોદ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર સહિતના સંબંધિતોને 1976 ના રોસ્ટરના નકલ સાથે આવેદન પાઠવી દુકાનોની ફાળવણીના સમયે આદિવાસી સમાજને પ્રાથમિકતા આપવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરી છે. જેમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા પાઠવેલા આવેદન મુજબ જણાવ્યું હતું કે મધ્ય ગુજરાતમાં સમાવિષ્ટ આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં 75% કરતાં વધુ આદિવાસી સમાજની વસ્તી હોવાથી આ જિલ્લો અનુસૂચિત વિસ્તાર (શિડ્યુલ ફાઈવ) એરિયામાં આવતો હોઈ તેમજ આ વિસ્તારમાં કોઈ મોટા ઉદ્યોગો કે રોજગાર ન હોવાના કારણે આ વિસ્તાર માત્ર ખેતી આધારિત વિસ્તાર છે.અને તેમાંય સિંચાઈના પ્રશ્નો ઉદભવતા અમારા આદિવાસી સમાજના ભાઈઓ તથા બહેનો પોતાનો પેટીયુ રળવા તેમજ પરિવારજનોના ગુજરાન કરવા માટે પરિવાર સાથે ગુજરાતના મોટા શહેરોમાં હિજરત કરવા માટે મજબૂર થયા છે. તાજેતરમાં સ્માર્ટ સિટી અંતર્ગત દાહોદમાં રસ્તા પહોળા કરવા માટે વહીવટી તંત્ર દ્વારા નગરપાલિકા હસ્તકના શોપિંગ સેન્ટરો તેમજ અન્ય દબાણો તોડી પાડવામાં આવેલ છે.તેમાં હાલ દાહોદ નગરપાલિકામાં સામાન્ય સભામાં ઠરાવ કરી જુના દુકાનદારોને પુનઃસ્થાપિત કરવા નવી દુકાનો બનાવી આપવા માટે ઠરાવ કરેલ છે.જે સંપૂર્ણ રીતે ગેરવ્યાજબી અને ગેરબંઘારણીય છે.આ અગાઉ પણ દાહોદ નગરપાલિકા દ્વારા દુકાનદારોને નિયમો વિરુદ્ધ જઈ દુકાનો ફાળવી દીધી હતી.અને તેમાં સરકારશ્રી દ્વારા નક્કી કરેલા વિવિઘ ધારાધોરણ જેવા કે ક્રમાંક પીએમસી-૭૯૭૬-૭૫૨૮-પી પંચાયત ગૃહ નીર્માણ અને શહેરી વિકાસ વિભાગ, સચિવાલય, ગાંઘીનગર તા.૧૫/૧૨/૧૯૭૬, (રોસ્ટર અઘિનિયમ) ભારતના સંવિઘાનના આર્ટીકલ ૨૪૪-૧, ૧૯(૫)(૬) નું પાલન કરવામાં આવ્યું નહોતું.જેના પગલે વર્ષોથી એક ચોક્કસ સમાજને તેમના સમાજમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા યેનકેન પ્રકારે ફાયદો પહોંચાડવામાં આવ્યો છે. જેમાં તમામ નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા છે.નગરપાલિકા પોતાની આવકનો સ્ત્રોત ઊભો કરવા શોપિંગ સેન્ટરો જો નવા બનાવે તો દાહોદ શહેરમાં વસતા તમામ સમાજ તેમજ આદિવાસી સમાજ જેને હર હંમેશ સંવિધાન પ્રમાણે 50% અનામતનો લાભ મળે છે.તે પ્રમાણે અમોને પણ અમારા સંવિધાનમાં આપેલા હકો મુજબ નિયમો અનુસાર દુકાનો ફાળવવામાં આવે તેમજ નગરપાલિકા દ્વારા બનાવેલા અન્ય શોપિંગ સેન્ટરોમાં જે દુકાનદારો ભાડુઆત તરીકે વર્ષોથી ચાલી રહ્યા છે. તેઓ માટે પુનઃનિયમો અનુસાર દુકાનોની હરાજી બોલાવી દુકાનોની ફાળવણી કરવામાં આવે તો તમામ સમાજને તેમજ આદિવાસી સમાજને લાભ મળી શકે તેમ છે.
એટલે સરકારશ્રીમાંથી નક્કી કરેલા નિયમો અનુસાર નગરપાલિકા હસ્તકના શોપિંગ સેન્ટરોમાં કાયદેસરની હરાજી કરવામાં આવે અને તેમા આદિવાસી સમાજને 50% અનામતનો લાભ મળે તે આપ સાહેબને નમ્ર વિનંતી છે. બીજું આપ સાહેબને વિદિત થાય કે આદિવાસી બાહૂલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં ઘણા બધા ભણેલા ગણેલા બેરોજગાર તેમજ જરૂરિયાત મંદ યુવાનો તેમજ બહેનો રોજગારીની તક શોધવા દર-દર ની ઠોકરો ખાઈ રહ્યા છે. તેવા સમયે આપશ્રી દ્વારા નગરપાલિકા હસ્તકના શોપિંગ સેન્ટરોમાં નિયમો અનુસાર પુનઃ હરાજી કરાવી દુકાનો ફાળવવામાં આવે અને તેમાં અમારા આદિવાસી સમાજને 50 ટકા અનામતનો લાભ મળે તો અમારા આદિવાસી સમાજના બેરોજગારો યુવાનો તેમજ જરૂરિયાતમંદ બહેનોને રોજગાર મળી રહેશે.
સાથે સાથે આદિવાસી સમાજ વેપાર ક્ષેત્રે પર આગળ વધવા માંગતો હોય બંધારણીય જોગવાઈઓ અનુસાર અમોને વેપાર કરવા માટે દુકાનો ફાળવવામાં આવે તો આદિવાસી સમાજ પણ પછાત વિસ્તારમાંથી બહાર આવી વિકાસની મુખ્ય ધારામાં આવી શકશે જેથી કરીને અમારી આ નમ્ર અરજને ધ્યાને લઈ ઘટતું કરવા માટે રજૂઆત કરી હતી. ત્યારે આવનારા સમયમાં આ મામલે પાલિકા તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવી રહી.