રાજેશ વસાવે :- દાહોદ
**દાહોદ જિલ્લામાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગે વિવિધ ગામોમાં યોજાઇ તાલીમ**
*દાહોદ જિલ્લાના દરેક ગામડાઓમાં સભા યોજી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લાવવા પ્રયાસ*
દાહોદ તા. ૧૯
દેશના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાનશ્રીએ પ્રાકૃતિક કૃષિને અપનાવવા આહવાન કર્યું છે. તેમના આહ્વાનને હકારાત્મક પ્રતિસાદ આપતા રાજ્ય સરકારે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વિવિધ પહેલો હાથ ધરી છે. વિવિધ એજન્સીઓ અને રાજ્ય સરકારના સહયોગથી એક મિશન સ્વરૂપે વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે તે માટે દાહોદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે.

દાહોદ જિલ્લામાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અંગે તાલીમ જેમાં પાકમાં ઉપયોગી તમામ ઉત્પાદનો જેવા કે , જીવામૃત ઘન જીવામૃત સહિતના પાંચ આયામો ઘરે જ તૈયાર કરવામાં આવે તે અંગે સમજણ આપવામાં આવી હતી. આ અંગે નોન મિશન કૃષિ સખી, CRP બહેનોએ , આત્માં પ્રોજેક્ટના કર્મચારીઓએ ખેડૂતમિત્રોને જણાવ્યુ કે, ઘરે જ પાકમાં ઉપયોગી તમામ વસ્તુ બનાવવામાં આવે તો ખેડૂતને બજારમાં ખાતર દવા માટે રૂપીયા ખર્ચવાની જરૂર નથી.
પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદાઓ વિશે સમજાવતા ખેડૂતોને કહ્યું હતું કે પ્રાકૃતિક રીતે પકવેલા ફળફળાદી શાકભાજી અને અનાજ ગુણકારી તેમજ રોગમુક્ત છે. જેથી તમામ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ જેનાથી આપણા અને આપણા પરિવારના સ્વાસ્થ્ય સુધરે તેમ છે.
દરેક ગ્રામ્ય કક્ષાએ તથા તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રાકૃતિક ખેતીની તાલીમ નોન મિશન કૃષિ સખી/ CRP બહેનોએ અને આત્માં પ્રોજેક્ટના કર્મચારીઓ, દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં ખેડૂતમિત્રોને જીવામૃત અને ઘન જીવામૃત બનાવી તેનો છંટકાવ કઈ રીતે કરવો સાથે તેના ઉપયોગ વિશે સંપુર્ણ માહિતી આપવામાં આવી હતી. તેમજ તાલીમમાં ઉપસ્થિત રહેલા તમામ મિત્રો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે જરૂરી સલાહ સુચન કર્યા હતા.
000
