
આંગણવાડીમાં ગંભીર બેદરકારી સામે આવતા કાર્યકર બહેનો સામે કાર્યવાહી..
દાહોદની આંગણવાડીઓમાં સ્વચ્છતા, નાસ્તો અને શિક્ષણનો અભાવ;જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે કાર્યકર બહેનોને છુટા કરવા આદેશ કર્યો..
દાહોદ તા. 05
દાહોદ તાલુકાના રાબડાળ-4 આંગણવાડી કેન્દ્રમાં ગેરરીતી ચાલતી ફરિયાદો ઉઠવા પામી હતી. જે સંદર્ભે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરા ચૌહાણે આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લીધી હતી.જેમા મુલાકાત દરમિયાન કેન્દ્રની કામગીરીમાં અનેક ખામીઓ જોવા મળી. કેન્દ્રમાં સ્વચ્છતાનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો હતો એટલું જ નહીં સવારના 11:30 વાગ્યા સુધી બાળકોને નાસ્તો આપવામાં આવ્યો નહોતો.સાથે 3 થી 6 વર્ષના બાળકોની હાજરી નોંધાઈ નહોતી.તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓ થતી નહોતી. અને યોજના સંબંધિત કામગીરી સમયપત્રક મુજબ પૂર્ણ થઈ નહોતી. તપાસ દરમિયાન કેન્દ્રમાં રેકર્ડ રજિસ્ટરોની યોગ્ય જાળવણી થઈ નહોતી. લાઇટ અને પંખા બંધ હાલતમાં જોવા મળ્યા હતા. અધૂરામાં પૂરું તાજેતરમાં થયેલા સમારકામ બાદ રંગકામની હાલત પણ બગડેલી જોવા મળી.હતી. આ પહેલા પણ આવી જ ખામીઓ જોવા મળી હતી. તે સમયે સુધારણા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. પરંતુ કોઈ સુધારો ન થતાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે કાર્યકર બહેનોને છૂટા કરવાની મૌખિક સૂચના આપી.જોકે આ પગલું બાળકોને યોગ્ય પોષણ, શિક્ષણ અને સુવિધાઓ સુનિશ્ચિત કરવા લેવાયું છે. કામગીરીમાં જવાબદારી અને પારદર્શિતા લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જોવાઈ રહ્યું છે.