
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના રાવળના વરુણા ગ્રામ પંચાયતમાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર*
*રાવળના વરુણા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા નાણાપંચની ગ્રાન્ટ સહિત વિવિધ વિકાસ કામોમાં મોટાપાયે ગેરરીતિ આચરાતા ગ્રામ પંચાયત સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ હતી*
સુખસર,તા.28
ફતેપુરા તાલુકામાં કેટલીક ગ્રામ પંચાયતો વિરુદ્ધ તાલુકા કક્ષાએથી લઈ રાજ્યકક્ષા સુધી રજૂઆતો કરવામાં આવે છે પરંતુ મહિનાઓ વિતવા છતાં રજૂઆતો પ્રત્યે ધ્યાન આપવામાં નહીં આવી ખોટી રીતે અરજદારોનો સમય વેડફવામાં આવતો હોવાના કેટલીક ગ્રામ પંચાયતોના રજૂઆત કર્તાઓ દ્વારા લાંબા સમયથી ફરિયાદો ઉઠવા પામેલ છે.ત્યારે ફતેપુરા તાલુકાના રાવળના વરુણા ગ્રામ પંચાયત કચેરી ખાતે આજરોજ સવારના 11:30 વાગ્યે રાવળના વરુણા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત માટે તાલુકા વિકાસ અધિકારી ફતેપુરાના હુકમના આધારે બેઠક રાખવામાં આવી હતી.જેમાં સરપંચની વિરુદ્ધમાં બે તૃતીયાંશ બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત પસાર થયેલ હોવાનું તલાટી કમ-મંત્રી તથા વિસ્તરણ અધિકારી તાલુકા પંચાયત કચેરી ફતેપુરાના ઓ દ્વારા જાહેર કરવામાં આવેલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના તાલુકાના રાવળના વરુણા ગ્રામ પંચાયતમાં 15 માં નાણાપંચ તથા વિવિધ ગ્રાન્ટોનો દૂર ઉપયોગ કરી ગ્રામજનો સાથે અન્યાય કરવામાં આવતો હોવા બાબતે ગ્રામ પંચાયત ખાતે ચૂંટાયેલા સભ્યો દ્વારા આક્ષેપ કરી અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી.જેની આજરોજ રાવળના વરુણા ગ્રામ પંચાયત ખાતે બેઠક રાખવામાં આવતા કુલ ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા આઠ સભ્યો પૈકી છ સભ્યોએ હાજર રહી સરપંચની વિરુદ્ધમાં મતદાન કરતા તેમજ આ બેઠકમાં સરપંચ ગેરહાજર રહેવાથી તેઓને બોલવાનો હક આપવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નહીં હોવાનું જણાવવામાં આવ્યું હતું.તેમજ સરપંચ સામે મૂકવામાં આવેલ અવિશ્વાસની દરખાસ્ત માટે હાજર સભ્યોને એજન્ડા વાચી સંભળાવવામાં આવ્યો હતો.તથા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત માટે વોટીંગ કરવામાં આવ્યું હતું.
તેમાં સૌપ્રથમ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તના સમર્થન માટે વોટીંગ કરવામાં આવ્યું હતું.જેમાં છ સભ્યોએ હાથ ઊંચો કરી સમર્થન આપ્યું હતું. આમ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્તના સમર્થનમાં વોટીંગ કરવામાં આવ્યું હતું.તેમજ સરપંચ તથા અન્ય બે સભ્યો ગેરહાજર રહેવાથી સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં કોઈ વોટીંગ થયેલ નહીં હોવાનું જાણવા મળે છે.આમ સરપંચ કટારા જેથરીબેન બીજીયાભાઈ સામે અવિશ્વાસના સમર્થનમાં છ વોટ પડવાથી કુલ બે તૃતીયાંશ બહુમતી થવાથી અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી.આમ આજની રાવળના વરૂણ ખાતે રાખવામાં આવેલ સભામાં સરપંચ કટારા જેથરીબેન બિજીયાભાઈ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત બે તૃતીયાંશ બહુમતીથી પસાર થયાનું જાહેર કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.
આમ ફતેપુરા તાલુકામાં અનેક ગ્રામ પંચાયતો વિરુદ્ધમાં મહિનાઓથી રજૂઆતો કરવા છતાં લાગતા વળગતા અધિકારીઓ દ્વારા સમય મર્યાદામાં નિર્ણય નહીં લેવાતા રાવળના વરુણા ગ્રામ પંચાયત સભ્યો દ્વારા ત્વરિત નિર્ણય આવે તેવો શોર્ટકટ રસ્તો અપનાવી આખરે સરપંચને ઘરભેગા કરાતા ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા આઠ પૈકી છ સભ્યોએ સરપંચની વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત લાવી પસાર કરાતાં તાલુકાની અન્ય ગ્રામ પંચાયતોમાં ગેરરીતિ આચરતા સરપંચોમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામેલ હોવાનું જાણવા મળે છે.