દાહોદ લાઈવ…
દાહોદ:મ્યુકોરમાઇકોસીસના લક્ષણો જણાય તો સમય સારવાર કરાવવા કલેક્ટરશ્રીની અપીલ
ડાયાબિટીસ, કિડની કે કેન્સરની લગતી બિમારી ધરાવતા દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસનું પ્રમાણ વધુ જોવા મળે છે
દાહોદ, તા. ૧૨ :
કોરોનાગ્રસ્ત દર્દીઓ ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા પ્રકારના દર્દી અને ડાયાબિટીસ કે કિડની, કેન્સર જેવી અન્ય પ્રકારની બિમારી ધરાવતા દર્દીઓમાં આજ-કાલ મ્યુકોરમાઇકોસીસ રોગ થતો જોવા મળી રહ્યો છે. દાહોદમાં હાલમાં આવા કોઇ કેસ જોવા મળ્યા નથી, પણ તેના લક્ષણો જણાય તો સમયસર તેની સારવાર કરાવી લેવા માટે દાહોદ કલેક્ટરશ્રી વિજય ખરાડીએ એક વિડીઓ સંદેશમાં જણાવ્યું છે.
અગાઉ કેન્સર કે કિડની જેવી ગંભીર બિમારી ધરાવતા દર્દીઓમાં આ રોગનું ચલણ હતુ. પરંતુ હાલ કોરોના અથવા પોસ્ટ કોવિડ બાદ ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા દર્દીઓને સાયનસ અથવા ફંગલનું ઇન્ફેક્શન થતુ જોવા મળે છે. ત્યારબાદ તે મ્યુકોરમાઇકોસીસમાં પરિણમે છે.
મ્યુકોરમાઇકોસીસની સારવાર શક્ય છે માટે તેનાથી ધબરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. આ રોગનું ઝડપી અને સચોટ નિદાન જ આ રોગ સામે રક્ષણ અપાવી શકે છે. આ પ્રકારના લક્ષણો જણાઈ આવતા તરત જ ઇ.એન.ટી. સર્જનને બતાવવાની સલાહ આપે છે. મ્યુકોરમાઇકોસીસ રોગની સારવાર અત્યંત ખર્ચાળ માનવામાં આવે છે પરંતુ સંવેદનશીલ રાજ્ય સરકારના પ્રયાસોથી સરકારી સિવિલ હોસ્પિટલમાં તે નિ:શુલ્ક કરવામાં આવે છે.
મ્યુકોરમાઇકોસીસ ના લક્ષણો જોઇએ તો કોરોના થયો હોય ત્યારે અથવા કોરોનાથી સાજા થઇ ગયા બાદ સ્વાસ્થય સુધાર તબક્કામાં હોય , 40 થી વધુ ઉમરના દર્દીઓ, ખાસ કરીને ડાયાબિટીસ સંતુલનમાં ન રહે તેવા દર્દીઓ, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા પ્રકારના દર્દીઓને નાકમાં સાયનસ ઇન્ફેકશન થતુ જોવા મળે છે.
વારંવાર શરદી થવી, નાક બંધ થઇ ગયુ તેવું અનુભવ થવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી,નાકમાંથી ખરાબ પ્રકારની સુંગધ આવવી, નાક અને સાયનસ વાળા વિસ્તારમાં સોજો આવવો જેવા લક્ષણો મ્યુકોરમાઇકોસીસ ના હોઇ શકે છે. નાક અથવા ગાલ પાસે નો ભાગ કાળો પડવા લાગે છે. આમાંથી કોઇપણ પ્રકારનું લક્ષણ જણાવી આવી ત્યારે સત્વરે ઇ.એન.ટી. સર્જનને બતાવીને તેની સલાહ લેવી જોઇએ.
મ્યુકોરમાઇકોસીસનું ઇન્ફેકશન થવાની સંભાવના જણાઇ આવતા દર્દીની શારીરીક સ્થિતિ જોઇ, તેના સી.ટી.સ્કેન , એમ.આર.આઇ. જેવા રીપોર્ટ કરાવવામાં આવે છે. ફંગના સેમ્પલ લઇને બાયોપ્સી માટે પણ મોકલવામાં આવે છે. આ તમામ રીપોર્ટ દ્વારા ફંગસ આખ, મગજ તેમજ અન્ય કયા ભાગમાં કેટલી સંવેદનશીલતા સાથે ફેલાયેલી છે તે ચકાસીને તેનું તેનું નિદાન કરવામાં આવે છે. ગેડોલેનીયમ કોન્ટ્રાસ્ટ વાળા અત્યંત આધુનિક પ્રકારના એમ.આર.આઇ. કરાવીને ફંગસની જળ સુધી પહોંચવાના પ્રયત્ન કરવામાં આવે છે. આના આધારે જ સર્જરી હાથ ધરવામાં આવે છે. આ ફંગસ ના કારણે કંઇ પેશીઓ, સાયનસ આનાથી સંકળાયેલા છે તે જોવામાં આવે છે.
૦૦
