સામા પક્ષે અરજદારે ચૂંટણીની અદાવતે ફસાવવા માટે કારસ્તાન ઊભું કરવાના આરોપો સાથે જિલ્લા પોલીસ વડા ને આપ્યો આવેદન
સમગ્ર મામલાની તપાસ અને નિષ્પક્ષ તપાસ કરાવવા માંગણી કરાઈ
દાહોદ તા.૧૩
દાહોદ તાલુકાના કાળીગામ ખાતે ગતરોજ એક પરણિતાએ એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ વિરૂધ્ધ પોતાની સાથે બળજબરી અને ઈજ્જત લેવાની કોશીષ કર્યા હોવાના આક્ષેપો સાથે દાહોદ જિલ્લા પોલીસ વડાને લેખિત રજુઆત કરી હતી. આ સમગ્ર મામલે સામાપક્ષેથી પણ આજરોજ દાહોદ જિલ્લા પોલીસ વડાને લેખિત અરજી કરી જણાવાયું છે કે, આ પરણિતા દ્વારા કરવામાં આવેલ તમામ આક્ષેપો તદ્દન ખોટા અને પાયા વિહોણા તેમજ તદ્દન ખોટા આક્ષેપો કરવામાં આવેલ હોવાનું જણાવાયું છે સાથે જ તેઓ દ્વારા વધુમાં એમ પણ જણાવાયું છે કે, સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી ટાણે આ પરણિતાના સગા વ્હાલાઓ દ્વારા ગાડીઓમાં સવાર થઈ મારક હથિયારો ધારણ કરી આવી વાહનોની તોડફોડ સહિત એક ઉપર જીવલેણ હુમલો કરતાં ગંભીર હાલતમાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં અને ત્યાર બાદ પોતે આ મામલે લીમડી પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી પરંતુ તેમાં ૩૦૭ની કલમનો ઉમેરો ન થતાં તેઓ સામે આ કલમનો પણ ઉમેરો કરવામાં આવેલ તેવી રજુઆત કરવામાં આવી હતી. ચુંટણી સંબંધી અદાવત રાખી આ લોકો દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું પણ અરજીમાં જણાવાયું છે.
ઝાલોદ તાલુકાના કાળીગામ ખાતે રહેતા રમેશભાઈ નારણભાઈ રસુઆત દ્વારા દાહોદ જિલ્લા પોલીસ વડાને આપવામાં આવેલ અરજીમાં જણાવ્યા અનુસાર, તેઓની પત્નિ મણીબેન ચાલુ વર્ષની તાલુકા પંચાયતની ચુંટણીમાં કાળીગામ ગુજ્જર – ૧૬ની તાલુકા પંચાયતના સભ્ય તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. તારીખ ૨૮મી માર્ચના રોજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું મતદજાન હતું જેમાં તેઓની પત્નિ એજન્ટ તરીકે કાળીગામ સીટમાં હતા અને તેઓના ફોઈનો છોકરો સતીષભાઈ અમરાભાઈ ભરવાડ તથા અમરતભાઈ પ્રેમચંદાભાઈ ગુજ્જર, ડ્રાઈવર મુકેશભાઈ મોતીભાઈ ભરવાડ વિગેરે ગાડી લઈ બુથ પર આવ્યાં હતાં. લગભગ અઢી વાગ્યાના સમયે મીરાખેડી કાટસ ફળિયા બુથ ઉપર જઈ પરત બુથની બહાર રોડ પર ગાડીમાં બેઠેલા ત્યાં રાકેશભાઈ દેવધા મીરાખેડી ગામના સરપંચ તેમની ફોર વ્હીલર ગાડી લઈને આવ્યાં હતાં અને પોતાની વાતચીત કરતાં હતાં. આ દરમ્યાન મુકેશભાઈ સવસિંગભાઈ ડાંગી, (રહે.મીરાખેડી,તા.ઝાલોદ), સંજયભાઈ તાજુભાઈ નીનામા (રહે.નાનીહાંડી, તા.ઝાલોદ), કલ્પેશભાઈ અમરાભાઈ રવાળા (રહે.કાળીગામ), વિપુલભાઈ અમરાભાઈ રવાળા (રહે.કાળીગામ), ધવલભાઈ દિનેશભાઈ ભરવાડ (રહે.ઉકરડી) અને નીલાંશઉભાઈ મુકેશભાઈ ડાંગી (રહે.મીરાખેડી) આ તમામ જણા ફોર વ્હીલર ગાડીમાં સવાર થઈ પોતાની સાથે મારક હથિયારો જેવા કે, તલવાર, લોખંડની પાઈપ, પાળીયું વિગેરે લઈ આવ્યાં હતા અને રમેશભાઈ નારણભાઈ રસુઆત તથા તેમના માણસો પણ ઓચિંતી હુમલો કર્યાે હતો અને તેઓની ગાડીના કાચ પણ તોડી નાંખ્યાં હતા આ દરમ્યાન સતીશભાઈને પકડી પાડી તેઓને માથાના ભાગે તથા શરીરે હથિયાર વડે માર મારતાં ગંભીર હાલતમાં સતીશભાઈને દાહોદના દવાખાને સારવાર અર્થે લાવવામાં આવ્યાં હતાં. આ સમગ્ર મામલે ઉપરોક્ત ઈસમો વિરૂધ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ પણ આપી હતી પરંતુ તેમાં ૩૦૭ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો ન હતો.
વધુમાં રમેશભાઈ રસુઆત દ્વારા જણાવ્યા અનુસાર, ઉપરોક્ત માથાભારે ઈસમો અવાર નવાર ધાક – ધમકીઓ આપે છે, મણીબેનનું સભ્યપદ રદ્દ કરાવી બતાવવાની પણ ધમકીઓ આપતાં રહે છે બીજી તરફ જે પરણિત મહિલાએ પોતાની સામે જે આક્ષેપો સાથેની અરજી આપી છે તે તદ્દન ખોટી, પાયા વિહોણી અને સત્યથી વેગળી અરજી છે. અરજી તદ્દન ખોટી અને બનાવટી હોવાનું પણ જણાવ્યું હતું.
આ સમગ્ર મામલે રમેશભાઈ રસુઆત દ્વારા જણાવ્યું છે કે, પોતાની સામે કોઈપણ અરજી કે ફરિયાદ દાખલ કરતાં પહેલા યોગ્ય અને પુરતી તપાસ કરવામાં આવે અને યોગ્ય અને સંપુર્ણ તપાસ પહેલા પોતાની સામે કોઈપ કેસ ના નોંધાય તેવી તકેદારી લેવામાં આવે તેમજ પોતાને જાનમાલ અને આબરૂના રક્ષણ માટે યોગ્ય કાર્યવાહી કરવા અંગે દાહોદ જિલ્લા પોલીસ વડાને આ અરજી સુપ્રત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કરવામાં આવે તો સત્ય બહાર આવે તેમ છે.