ગરબાડા:નદી કિનારે બાળકો સાથે રમતા રમતા ખજૂર તોડવા વીજપોલ પર ચડેલી 14 વર્ષની કિશોરીને વીજકરંટથી મોત નિપજતાં ચકચાર:પોલિસ તપાસમાં જોતરાઈ

Editor Dahod Live
2 Min Read

વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડાની ખરોડ નદીએ આવેલ રામદેવપીરના મંદિરે નવા ગામના બાળકો રમતા હતા.અને તે સમયે ખજૂર પાડવા ગરબાડા ગાંગરડી ને જોડતી એક્સપ્રેસ લાઈનના વીજ પોલ પર ચઢેલી ૧૪ વર્ષની બાળકીને અકસ્માતે વીજ કરંટ લાગતા તેનું  ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઉપરોક્ત બનાવની જાણ ગ્રામજનો તેમજ ગરબાડા પોલીસ લેતા ઘટના સ્થળે લોકોના ટોળા જામ્યા હતા.

મળતી માહિતી મુજબ નવાગામ ફળિયાના રહેવાસી ભારતસિંહ માનસિંગ રાઠોડની 14 વર્ષીય પુત્રી કિંજલ બાળકો સાથે ગરબાડાની ખરોડ નદી કિનારે આવેલ રામદેવપીરના મંદિર પાસે નવાગામના બાળકો રમતી હતી.તે સમયે ખજૂર તોડવા 11 કેવીની લાઈનના વીજપોલ પર ચડેલી  કિંજલ ને અચાનક વીજ કરંટ લાગતા તેનું કરુણ મોત નિપજતાં પરિવારજનો પર જાણે આભ તૂટી પડયો હતો.સ્થાનિકો દ્વારા ગરબાડા પોલીસને જાણ કર્યા બાદ આ બાળકીના મૃતદેહને પીએમ માટે મોકલી આપવામાં આવ્યો હતો

ગરબાડાની ખરોડ નદી કિનારે આવેલ રામદેવપીરના મંદિરે રવિવારના રોજ બપોરના સમયે નવા ગામના બાળકો રમતા હતા મંદિરની પાસે જ ગરબાડા ગાંગરડીને જોડતી એક્સપ્રેસ વીજ લાઈનની ડીપી આવેલ હોય રમતી વેળા આ બાળકો પૈકી ૧૪ વર્ષની એક બાળકી વીજપોલ ઉપર ચડતા કરંટ લાગવાના કારણે આ બાળકીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળેલ હતું ઘટના બનતાં સ્થાનિક લોકો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા.અને ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ અને એમજીવીસીએલનો સ્ટાફ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો.અને આ બાળકીના મૃતદેહને પીએમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.ઘટના સ્થળે સાંભળવા મળતી ચર્ચાઓ અનુસાર મંદિરનું બાંધકામ થયું તે વેળા એમજીવીસીએલ ને ઇલેવન કેવીની લાઈન ખસેડવા માટે અરજી આપવામાં આવી હતી એમજીવીસીએલના સ્ટાફ દ્વારા જાણવા મળ્યું હતું કે જ્યાં સુધી વીજપોલ હટાવવાની રકમ ભરવામાં નહીં આવે ત્યાં સુધી આ લાઈન ખસેડવાનો કોઈ સવાલ જ ઉપસ્થિત થતો નથી તેવું પણ લોક ચર્ચાઓ મુજબ જાણવા મળેલ હતું

Share This Article