સૌરભ ગેલોત
દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે જુદાજુદા બનાવોમાં બેના મોત:બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત..
દાહોદ તા.26
દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતને તેમજ પૂરઝડપના કારણે સર્જાયેલા માર્ગ અકસ્માતના બે જુદાજુદા બનાવોમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળેલ છે.
માર્ગ અકસ્માત નો પહેલો બનાવ ઝાલોદ તાલુકાના જાફરપુરા ગામે બનવા પામ્યો છે.જેમાં પેથાપુર પાતા ફળિયાના સુક્રમ ભાઈ કમજી ભાઈ ડામોર પોતાના કબજા હેઠળની Gj-20-AA-8640 નંબરની મોટરસાયકલ લઈ જાફરપુરા ગામેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે માતેલા સાંઢની જેમ પૂરપાટ ધસી આવેલા Gj-0-BT-8881 નંબરના આઇસર ગાડીના ચાલકે સુક્રમભાઈની મોટર સાયકલને અડફેટે લેતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં સુક્રમ ભાઈ ને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
ઉપરોક્ત બનાવ સંદર્ભે ઝાલોદ તાલુકાના પેથાપુર પાતા ફળિયાના રહેવાસી શામજીભાઈ રામાભાઇ ડામોરે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ઝાલોદ પોલીસે આઇસર ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજો બનાવ દાહોદ તાલુકાના ઘાટાપીર નજીક અમદાવાદ ઈન્દોર થી નેશનલ હાઈવે પર બનવા પામ્યો છે.જેમાં ઉસરવાણ ટિંડોરી ફળિયાના રહેવાસી કેયુરભાઈ દિનેશભાઈ કિશોરી,ઉષાબેન દિનેશભાઈ કિશોરી, તેમજ નિલેશભાઈ સમુડા ભાઈ કિશોરી પોતાના કબજા હેઠળની Gj-20-C-4451 મોટર સાઇકલ પર સવાર થઇ દાહોદ તાલુકાના ઘાટાપીર નજીક હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે પૂરપાટ આવતા Gj-20-V-4572 નંબરના પીકપ ચાલકે દિનેશભાઈ ની મોટર સાયકલને અડફેટે લેતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં મોટરસાયકલ સવાર દિનેશભાઈનો પરીવાર ફાંગોળાઈ જમીન પર પટકાતા ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જેમાં દિનેશ ભાઈ કિશોરીનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારનો માળો વિખરાઈ જવા પામ્યો હતો.
આ બનાવ સંદર્ભે રાજુભાઈ સમુડાભાઈ કિશોરીએ દાહોદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દાહોદ ગામે પોલીસે પીકઅપ ગાડીના ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.