દાહોદમાં આગામી તા. ૧૪ એપ્રીલે મહેસુલી મેળો યોજાશે
મહેસુલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી મહેસુલી મેળામાં સહભાગી થઇ નાગરિકોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ લાવશે
મહેસુલી મેળામાં ભાગ લેવા નાગરિકો પોતાના મહેસુલી પ્રશ્નો કલેક્ટર કચેરીની વહીવટી શાખામાં આપી શકશે
દાહોદ, તા. ૧૧ :
રાજ્યના નાગરિકોને મહેસુલી સેવાઓના લાભો ઘર આંગણે સત્વરે મળી રહે તેમજ પ્રશ્નોનો સ્થળ પર નિકાલ થાય તે માટે મહેસૂલ વિભાગે નવતર અભિગમ હાથ ધર્યો છે. જેના ભાગરૂપે રાજ્યભરમાં જિલ્લા મથકોએ ‘મહેસૂલ મેળા’ યોજાઇ રહ્યાં છે ત્યારે આગામી તા. ૧૪ એપ્રીલે, ગુરૂવારે મહેસુલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી દાહોદ નગરના પંડિત દીનદયાળ સભાગૃહ ખાતે ઉપસ્થિત રહેશે અને સ્થળ પર સુનાવણી કરશે.
દાહોદ નગરમાં ઉક્ત સ્થળે મહેસુલી મેળો બપોરે ૧૨ વાગેથી ૪ વાગ્યા સુધી યોજાશે. જિલ્લાના કલેક્ટર ડો.હર્ષિત ગોસાવી સહિતના અધિકારીશ્રીઓ પણ આ મહેસુલી મેળામાં ઉપસ્થિત રહેશે. જિલ્લાના નાગરિકો પોતાના મહેસુલી પ્રશ્નો કલેક્ટર કચેરીની વહીવટી શાખામાં આપી શકશે. આ પ્રશ્નોનો નિકાલ મહેસુલી મેળામાં કરવામાં આવશે.