
ફતેપુરા પોલીસ લાઈન પાસે તૂટેલા માર્ગ અને પાણીથી હાલાકી:રાહદારીઓ – વાહનચાલકો ત્રાહિમામ પોકાર્યા..
દાહોદ તા.03
ફતેપુરામાં મોળાકુવાથી લઈ પોલીસ સ્ટેશન સુધીના માર્ગની હાલત અત્યંત દયનીય બની છે. આ મુખ્ય માર્ગ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. જેથી રાહદારીઓ તેમજ વાહન ચાલકોને
હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત, ગામનું તેમજ ઘરોનું ગંદુ પાણી રોડ પર જ ભરાઈ રહે છે. તૂટેલા માર્ગના ખાડાઓમાં ગંદુ પાણી ભરાઈ રહેવાથી ત્યાંથી પસાર થવું અત્યંત જોખમી અને અસુવિધાજનક બની ગયું છે. આ ગંદા પાણી અને બિસ્માર રોડના કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે. તૂટેલા રોડ અને ભરાયેલા પાણીને કારણે વાહન ચાલકો લપસી પડવાના અનેક બનાવો પણ બને છે.
જર્જરિત માર્ગ અને ગંદા પાણીના યોગ્ય નિકાલના અભાવે સ્થાનિકો સહિત રસ્તે પસાર થતા તમામ લોકો હેરાન પરેશાન બન્યા છે. રાહદારીઓ સહિત નાગરિકોની ઉગ્ર માંગ છે કે સરકાર દ્વારા આ વિસ્તારની સમસ્યા પર પૂરતું ધ્યાન આપીને ગંદા પાણીના નિકાલ માટે તાત્કાલિક ગટર સુવિધા ઊભી કરવામાં આવે અને પોલીસ લાઈન રોડનું નવીનીકરણ કરીને નવો માર્ગ બનાવવાની કામગીરી ઝડપથી હાથ ધરે તે અત્યંત જરૂરી છે.