
રાજેશ વસાવે :- દાહોદ
*પ્રાકૃતિક ખેતી એટલે નુકસાનીની બાદબાકી અને દેખીતો ફાયદો જ ફાયદો*
*વર્ષ ૨૦૧૯ થી પ્રાકૃતિક ખેતી અપનાવી પંચ સ્તરીય બાગબાની પાક લઇ વાર્ષિક લાખોની કમાણી કરતા ખેડૂતશ્રી ભરતસિંહ ખપેડ*
દાહોદ તા. 17
*સરકાર તરફથી કુવો બનાવવા માટે સાડા ૫ લાખની આર્થિક સહાય મળી હતી, એ સાથે પ્રાકૃતિક ખેતી કરવા માટે આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી તેમજ બાગાયતી વિભાગ તરફથી વિવિધ સહાય પણ મળે છે. પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખેતી ખર્ચ સામે વાર્ષિક નફો લાખ – સવા લાખ રૂપિયાનો સીઝન મુજબ મળી રહે છે – ખેડૂતશ્રી ભરતસિંહ ખપેડ*
પ્રાકૃતિક ખેતી એટલે નુકસાનીની બાદબાકી અને દેખીતો ફાયદો જ ફાયદો. પ્રાકૃતિક ખેતી નામમાં જ પ્રકૃતિ શબ્દ વણાયેલો છે. જે પ્રકૃતિને સમર્પિત હોય એ પ્રાકૃતિક. અહી આપણે વાત કરીશું દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ખરેડી ગામના રહેવાસી પ્રગતિશીલ ખેડૂતશ્રી ભરતસિંહ ખપેડની. પ્રાકૃતિક કૃષિથી પ્રકૃતિનું જતન થઇ શકે એ વાત અવાર નવાર લોકોના મુખે સાંભળવા મળતા એમણે સુભાષ પાલેકરના માર્ગદર્શન હેઠળ યોજાયેલ ઝીરો બજેટ ખેતી શિબિરમાં અમદાવાદ ખાતે હાજર રહી તાલીમ લીધી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૯ થી પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી હતી.
એ સાથે એમણે આત્મા યોજના દ્વારા સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા અંતર્ગત વડતાલ અને અડાલજ ખાતે યોજાયેલ તાલીમમાં હાજર રહી પ્રાકૃતિક ખેતીની વિસ્તૃતમાં માહિતી મેળવી હતી. શાકભાજી, ફળ-ફળાદી સહિત આંતરપાક ધરાવતી પ્રાકૃતિક ખેતી કરીને આ દિશામાં પહેલ કરી તેમણે કંઈક સારુ અને નવું કરવાનું વિચાર્યું હતું. ભરતસિંહ ખપેડ પોતાની ફક્ત ૩ દેશી ગાયોની મદદથી જીવામૃત પદ્ધતિ અપનાવી જાતે જ ખાતર બનાવે છે. ફક્ત એક ગાયથી પણ ખાતર કહો કે દવા તૈયાર થઇ જાય છે.
રાસાયણિક ખેતીમાં ખેતી ખર્ચ વધારે તેમજ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચમાં ઘટાડો થાય છે તથા પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા વધી અને પાકનુ ઉત્પાદન સારુ અને ગુણવત્તા યુકત મળે છે. ગાયના છાણ-મૂત્ર, દેશી ગોળ અને છાશને લઈ જીવામૃત તૈયાર કરવામાં આવે છે. આ જીવામૃતને સમગ્ર ખેતરમાં વેન્ચ્યુરી સેટ અપ અને પાઇપ લાઇન સિસ્ટમ દ્વારા સરળતાથી અને ઝડપથી જુદા જુદા ખેતરમાં સરળતાથી પહોંચાડી શકાય છે. આખા વર્ષની વાત કરીએ તો, નજીવા ખેતી ખર્ચની સામે વાર્ષિક નફો લાખ – સવા લાખ રૂપિયાનો સીઝન મુજબ મળી રહે છે, મળતી આવક અને નફા સામે ખેતી ખર્ચ નજીવો કહી શકાય, એમ તેમણે પ્રાકૃતિક ખેતી વિષે જણાવ્યુ હતું.
પ્રગતિશીલ ખેડૂતશ્રી ભરતસિંહ ખપેડ વિવિધ આંબા, રીંગણ, મરચા, ટામેટા, જાંબુ, જામફળ, પપૈયા, નારિયેળી, આમળા, શેરડી, ડુંગળી, ગુલાબ, ગલગોટો, શક્કરીયા, સરગવો, લીંબુ, ભીંડા, પાલક, ધાણા, રાયણ, સફરજન, ચીકુ, કોબીજ જેવા શાકભાજી તેમજ ફળાઉ પાકો કરીને આર્થિક રીતે સારો નફો મેળવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી થકી પકવેલ પાકમાં મૂળ સ્વાદ જળવાઈ રહે છે. જે થકી કોઈપણ પ્રકારના ભેળસેળ વગર તેમજ રસાયણ મુક્ત ખોરાક પૂરો પાડી રહ્યા છે.
આજના સમયમાં જાગૃત નાગરીકો રાસાયણિક પદ્ધતિથી પકવેલ પાકની નહીં પરંતુ પ્રાકૃતિક ખેતી થકી પકવેલ પાકની માંગ કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીપાકની માંગ વધી રહી છે. રાસાયણિક ખાતરોથી જમીન, પર્યાવરણ, પ્રકૃતિ, વાતાવરણ, જીવજંતુ સહિત અનેકો રોગો થકી મનુષ્યનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે, આ તમામ સમસ્યાઓનું નિવારણ એટલે પ્રાકૃતિક ખેતી. ખેડૂત ભાઈઓ અને બહેનો જો પ્રાકૃતિક ખેતી અપનાવે તો તેમની જમીન ફરીથી જીવંત થશે. હા, શરૂઆતના ૧-૨ વર્ષ સુધી મહેનત અને માવજતની જરૂર છે, પછી એનું પરિણામ આપણને અપેક્ષા કરતાં પણ વધુ મળશે.
જો સરકાર પ્રાકૃતિક ખેતી કરવા માટે તમામ રીતે બનતી મદદ કરી રહી છે, જરૂર છે તો ફક્ત ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિને અપનાવવાની. સાધનિક સહાય, આર્થિક સહાય, બિયારણથી લઇને જોઈતી તમામ સહાય જો સરકાર સામેથી આપતી હોય તો પછી આપણને એક ખેડૂત તરીકે બીજું તો શું જોઈએ, એમ ભરતસિંહ ખપેડએ વધુમાં ઉમેરતા કહ્યું હતું.
૦૦૦