
રાહુલ ગારી :- ગરબાડા
રામડુંગરાના ભિીમકુંડ ખાતે પરંપરા મુજબ અસ્થિ વિસર્જન કરાયું
ગરબાડા તાલુકાના રામડુંગરાના ભીમકુંડ ખાતે પરંપરા મુજબ અસ્થી વિસર્જન કરાયુ હતું.
દાહોદ ભીલ સમાજમાં મૃતક સ્વજનોના અસ્થિનું આમલી અગિયારસે વિસર્જન
ગરબાડા તાલુકાના ગામોમાં કાચરાની વિધિ કરવાની માન્યતા ગામના લોકો સમૂહમાં મૂંડન કરાવી, બુંદીનુ વિતરણ કરાય છે
ગરબાડા
આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં વસતા ભીલ સમાજના લોકોમાં હોળીના તહેવાર પૂર્વે આવતી પ્રથમ અગિયારસ એટલે કે આમલી આગિયારસનું ખૂબ જ અનેરું મહત્વ હોય છે. આદિવાસી ભીલ સમાજમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા પોતાના સ્વજનોની અસ્થી (ફૂલો)ને આ સમાજમાં બારમા તેરમા દિવસે વિસર્જન કરવાના બદલે આ ફૂલો ખેતરમાં ઘરના આંગણામાં અથવા ઝાડની નીચે ખાડો ખોદી માટીની કૂંડીમાં સ્ત્રીની અસ્થિ હોય તો લાલ કપડામાં અને પુરુષની અસ્થિ હોય તો સફેદ કપડામાં બાંધી યાદ રહે તેવી રીતે તેને દાંટી દેવામાં આવે છે.
હોળી પૂર્વે અમુક લોકો નોમની સાંજના જ્યારે મોટા ભાગના લોકો દશમની સાંજના પોતાના સગાવાલા કુટુંબીજનોને તેડીને આ અસ્થિ ઓ બહાર કાઢે છે.તમામ લોકો ઘરની બહાર બેસી દૂધ પાણી તથા હળધર વડે આ અસ્થીઓને ધોઈ તેની પૂંજા કરે છે. પૂંજા વિધિ કર્યા બાદ ફરીથી આ અસ્થિઓને બાંધી ઘરના આંગણામાં લટકાવી દે છે.
હોળીની પ્રથમ અગિયારસ એટલે કે આમલી અગિયાસના વહેલી સવારે જે તે મૃતકના સ્વજન અસ્થીનું વિસર્જન રામડુંગરા ખાતે આવેલ ભીમકુંડમાં કરાય છે.
જો કે અહીંના ભીલ સમાજના લોકોની એવી એવી પણ માન્યતા છે કે, આ જગ્યાએ પાંડવો આવ્યા હતા. આ જગ્યાએ પાંચકુંડ આવેલા છે. જેથી આ જગ્યા એ દેવોનો પણ વાસ છે. જેથી અહીં અસ્થિ વિસર્જન કરવાથી મોક્ષ મળે છે. અસ્થિ પધરાવવા માટે રામડુંગરા ભીમકુંડ ખાતે વહેલી સવારથી જ ભીલ સમાજના લોકો મોટી સંખ્યામાં ઢોલ નગારા વગાડીને તેમની પરંપરા પ્રમાણે પોતાના સ્વજનોના અસ્થિઓ આ ભીમકુંડમાં વિસર્જિત કરતા હોય છે. અસ્થિ પધરાવવા માટે ભીમકુંડ ખાતે લોકોની ભારે ભીડ જામે છે.