જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલત તેમજ પૂરઝડપના કારણે માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર.
દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતોમાં ચાર લોકો કાળનો કોળીયો બન્યા: અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત
દાહોદ તા.૩૧
દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં ચાર જણાના અકાળે મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો જ્યારે એક – બે વ્યક્તિઓને ઈજાઓ થતાં તેઓને સારવાર હેથળ ખસેડાયાનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે ઓવરબ્રીજ પાસે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૪મી ઓગષ્ટના રોજ એક અલ્ટો ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી દેવગઢ બારીઆ તાલુકાના મોટીઝરી વચલુ ફળિયામાં રહેતાં ગુલાબભાઈ શનાભાઈ પટેલ તથા તેમની સાથે મોટરસાઈકલ પર બેઠેલ નરવતભાઈ બુધભાઈ પટેલને અડફેટમાં લેતાં બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં બંન્નેને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં બે પૈકી ગુલાબભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું જ્યારે નરવતભાઈને શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ સંબંધે મોટીઝરી ગામે વચલુ ફળિયામાં રહેતાં દિલીપભાઈ ગુલાબભાઈ પટેલે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે નેશનલ હાઈવે ખાતે બનવા પામ્યો હતો જેમાં એક પીકઅપ ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ પર સવાર થઈ રહેલ દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ગામે પુજારીયા ફળિયામાં રહેતાં વિજયભાઈ ચંન્દ્રસિંગ કોળી, લાલાભાઈ તેરાભાઈ, કિશનભાઈ લાલાભાઈ કોળી તથા મનોજભાઈ રમેશભાઈ કોળીને અડેફેટમાં લેતાં ચારેય જણાને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં લાલાભાઈ તેરાભાઈ અને કિશનભાઈ રમેશભાઈ કોળી બંન્નેના સારવાર દરમ્યાન મોત નીપજતાં આ સંબંધે વિજયભાઈ ચંદ્રસિંહ કોળીએ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતના ત્રીજાે બનાવ ઝાલોદ તાલુકાના ધોળાખાખરા ગામે બનવા પામ્યો હતા જેમાં ગત તા.૨૫મી ઓગષ્ટના રોજ દિનેશભાઈ તાનસીંગભાઈ ડામોર (રહે. ચાકલીયા, તળાવા ફળિયાં, તા.ઝાલોદ, જિ.દાહોદ) પોતાના કબજાની મોટરસાઈકલ લઈ ધોળાખાખરા ગામેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન મોટરસાઈકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી અને જેને પગલે દિનેશભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન દિનેશભાઈનું મોત નીપજતાં આ સંબંધે ચાકલીયા, તળાવા ફળિયામાં રહેતાં કનુભાઈ વિરસીંગભાઈ ડામોરે ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————————————–