Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરાના ગરાડુ-ઘાણીખુટ માર્ગ પર હપ્તા ઉઘરાણી કરતા સ્થાનિક ઈસમથી ત્રસ્ત વાહન ચાલકો પોલીસના શરણે…

August 28, 2023
        3601
ફતેપુરાના ગરાડુ-ઘાણીખુટ માર્ગ પર હપ્તા ઉઘરાણી કરતા સ્થાનિક ઈસમથી ત્રસ્ત વાહન ચાલકો પોલીસના શરણે…

ફતેપુરાના ગરાડુ-ઘાણીખુટ માર્ગ પર હપ્તા ઉઘરાણી કરતા સ્થાનિક ઈસમથી ત્રસ્ત વાહન ચાલકો પોલીસના શરણે…

રીક્ષા તથા રેકડા ચાલકો પાસે ગેરકાયદેસર દૈનિક રૂપિયા 50 ની માંગણી કરતા યુવક સામે કાર્યવાહીની માંગ સાથે સુખસર પોલીસ મથકે રજૂઆત..

25 જેટલા ખાનગી વાહન ચાલકોએ સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપતા”હવે પછી કાંઈ થાય તો જોઈ લઈશું”નું જણાવી અરજદારોને વળાવી મૂકતું પોલીસ તંત્ર!..

સુખસર,તા.28

ફતેપુરા તાલુકાના સુખસર પંથકના ગામડાઓમાં એસ.ટી નિગમ અને તેમના વહીવટદારો પાંગળા પુરવાર થયા છે.ત્યાં મુસાફર જનતાને અવર-જવર કરવા માટે એકમાત્ર ખાનગી વાહનો છે.ગ્રામ્ય વિસ્તારોમાંથી દરરોજ અભ્યાસ કરવા અવરજવર કરતા વિદ્યાર્થીઓ સહિત કામ અર્થે આવ-જા કરતા હજારો મુસાફરો ખાનગી વાહનોનો સહારો લઈ રહ્યા છે. સુખસર વિસ્તારના ગામડાઓને મુસાફરી માટે ખાનગી વાહનો આશીર્વાદ સમાન થઈ રહ્યા છે.અને તે સિવાય કોઈ વિકલ્પ પણ રહ્યો નથી. તેવા સમયે સુખસર પંથકમાં આવેલ ગરાડુ થી કાળીયા થઈ ઘાણીખુટ જતા માર્ગ ઉપર મુસાફર જનતા ખાનગી વાહનો દ્વારા અવર-જવર કરી રહી છે. ત્યારે એક સ્થાનિક વ્યક્તિ દ્વારા વાહન ચાલકો પાસે દૈનિક હપ્તો ઉઘરાવવાની કોશિશ કરતા તેની 25 જેટલા વાહન ચાલકોએ આજરોજ સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.

        પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ઘાટાવાડા,મોટી ઢઢેલી, કાળીયા,માનાવાળા બોરીદા,નાના-મોટા બોરીદા વિગેરે ગામડાઓમાં જવા માટે દ્વિમાર્ગીય માર્ગની નવીનીકરણ કામગીરી એક વર્ષથી થઈ ચૂકેલી છે. જોકે આ માર્ગ ઉપર એસ.ટી બસોની સુવિધા માટે અનેક વાર જાહેર રજૂઆતો પણ થઈ ચૂકેલી છે.તેમ છતાં કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા એસ.ટી તંત્રના જવાબદારો ઊંઘમાંથી જાગવા તૈયાર નથી.ત્યારે આ માર્ગ ઉપર અવર-જવર કરવા માટે મુસાફર જનતા હાલ રીક્ષા,અતુલ રેકડા તેમજ લોડીંગ વાહનોમાં મુસાફરી કરી રહી છે.ત્યારે તેનો ગેરલાભ ઉઠાવવા ઉપરોક્ત ગામડા પૈકી ઘાટાવાડા ગામનો ઈસમ આ ખાનગી વાહનચાલકો સાથે મારામારી કરી,ધાક જમાવી આ ખાનગી વાહનચાલકોને વાહન દીઠ દૈનિક રૂપિયા 50 લેખે હપ્તાની ઉઘરાણી કરી રહ્યો છે.    

ત્યારે ગેરકાયદેસર હપ્તો નહીં આપવા ઉશ્કેરાયેલા 25 જેટલા ખાનગી વાહન ચાલકોએ સુખસર પોલીસ સ્ટેશનમાં આજરોજ લેખિત ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, કાળિયા ના ઘાટાવાડા નો વતની લાલા પુનાભાઈ મછાર અમો વાહન ચાલકોને જણાવે છે કે,તમો ઘાટાવાડા થી ઘાણીખુટ રસ્તા ઉપર તમારા વાહનો ચલાવવા હોય તો વાહન દીઠ દરરોજ મને 50 રૂપિયા હપ્તો આપવો પડશે નહીં તો હું આ રોડ ઉપર તમારા વાહનો ચલાવવા દઈશ નહીં.તમારે હપ્તો આપવો ના હોય તો આ રસ્તા ઉપરથી તમો વાહનો બંધ કરી દો તેમ જણાવી કેટલાક વાહન ચાલકો સાથે મારામારી પણ કરી ચૂક્યો છે.અને કેટલાક વાહન ચાલકો ઉપર ફરિયાદો પણ આપી ચૂકેલો છે.આ વ્યક્તિ વાહન ચાલકોને છેલ્લા ત્રણેક માસથી સતત હેરાન કરી રહ્યો હોવાનું પણ વાહન ચાલકો જણાવી રહ્યા છે.

        અત્રે નોંધનીય બાબત છે કે, ઘાટાવાડા થી કાળીયા થઈ ઘાણીખુટ સુધી જતા માર્ગ ઉપરના ખાનગી વાહન ચાલકો પાસે એક સ્થાનિક વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર હપ્તાની ઉઘરાણી કરવા બાબતે વાહન ચાલકોએ સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપતા પોલીસે “હવે પછી કાંઈ થાય તો જોઈ લઈશું”નું જણાવી વાહન ચાલકોને ન્યાય અપાવવાના બદલે આરોપીને છાવરવા ના ઈરાદાથી સમજાવીને કાઢી મુક્યા હોવાની ચર્ચા વાહન ચાલકો દ્વારા સાંભળવા મળી હતી.જોકે આ વ્યક્તિની સામે સુખસર પોલીસ સ્ટેશનમાં મારામારી,રસ્તો રોકવા બાબતે અનેક ફરિયાદો થઈ ચૂકેલી છે.તેમજ થોડા સમય આગાઉ તપાસ કરવા ગયેલી સુખસર પોલીસને પણ આ વ્યક્તિ દ્વારા મારક હથિયાર બતાવી સામે થવાનો બનાવ પણ બની ચૂકેલો છે.પરંતુ તે બાબતે પોલીસે આંખ આડા કાન કરેલ હોવાની ચર્ચા પણ સાંભળવા મળે છે.ત્યારે આ ઈસમને પોલીસ કયા સંબંધોથી છાવરે છે તેવી પણ સ્થાનિક લોકો દ્વારા ચર્ચા સાંભળવા મળી રહી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!