રાહુલ ગારી :- ગરબાડા
વાસીયાડુંગરી ખાતે ભવ્ય ‘જન કલ્યાણ શિબિર’ યોજાઈ: સરકારની વિવિધ યોજનાઓનો લાભ ઘરઆંગણે પહોંચાડાયો
દાહોદ તા. ૧૭
ધાનપુર બ્લોકની વાસીયાડુંગરી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે આજ રોજ ભવ્ય ‘જન કલ્યાણ શિબિર’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

સરકારશ્રીની વિવિધ મુખ્ય યોજનાઓના લાભો છેવાડાના નાગરિકોને ઘર આંગણે જ મળી રહે તેવા ઉમદા હેતુથી અને ‘વિકસિત ભારત ૨૦૪૭’ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે ‘વિકસિત ગુજરાત ૨૦૪૭’ના ધ્યેય સાથે આ શિબિર યોજવામાં આવી હતી. આ જન કલ્યાણ શિબિરમાં ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.
શિબિર દરમિયાન સ્થળ પર જ પીએમજેએવાય (PM-JAY) કાર્ડ અને આભા (ABHA) કાર્ડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેમજ લાભાર્થીઓને પીએમજેએવાય કાર્ડનું વિતરણ પણ કરાયું હતું. આ ઉપરાંત, હાલમાં કાર્યરત સરકારશ્રીના પ્રમુખ કાર્યક્રમો પૈકીના એક એવા ‘ટીબી મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત લોકોના નિ:શુલ્ક એક્સ-રે કરવામાં આવ્યા હતા, તથા એનસીડી (NCD) સ્ક્રીનિંગ અંતર્ગત ઉપસ્થિત નાગરિકોના બ્લડ પ્રેશર અને શુગરની તપાસ કરીને તેમને જરૂરી આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવ્યું હતું. આરોગ્ય ક્ષેત્રે ચાલતા અન્ય વિવિધ પ્રોગ્રામો અંગે પણ લોકોને જાગૃત કરી ઉપસ્થિત તમામ લાભાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી શિબિરને સફળ બનાવવામાં આવી હતી.
