
બાબુ સોલંકી:- સુખસર
*સુખસર તાલુકાના સુખસર કૃષિ શાળા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ- 2025 યોજાયો*
*ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ,ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાયા*
સુખસર,તા.14
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાદાયી જન સેવા યાત્રાના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત ભરમાં તારીખ 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની વિવિધ થીમ આધારિત ઉજવણી કરવામાં આવી રહી છે.આ ઉજવણીમાં 14 ઓક્ટોબરના દિવસને કૃષિ વિકાસ દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો.
તેમાં રાજ્યના ખેડૂતોને આગામી રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અને માર્ગદર્શન તેમજ ખાતાની વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર આજરોજ સુખસર તાલુકાના મુખ્ય મથક સુખસરના કૃષિ શાળા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ- 2025 યોજવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ,ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના ઉદ્દેશ સાથે રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાના મળીને કુલ 261 સ્થળોએ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવ-2025 નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં આજરોજ સુખસર તાલુકામાં સુખસર કૃષિ શાળા ખાતે કૃષિ તજજ્ઞોની ઉપસ્થિતિમાં અને વિશાળ સંખ્યામાં હાજર ખેડૂતોની હાજરીમાં ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો.તેમાં કૃષિ વૈજ્ઞાનિકો અને તજજ્ઞો દ્વારા ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.તેમ જ ખેડૂતો પોતાની ખેતીમાં જણાતી સમસ્યાનું નિવારણ લાવી ખેત ઉત્પાદન વધારી શકે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ નવી ખેત પદ્ધતિઓથી ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જ્યારે ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગી,દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર સહિત પૂર્વ કૃષિ વૈજ્ઞાનિક ડૉ. રામસિંગભાઈ મછાર દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપી ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું.તેમજ રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ, અધ્યતન ટેકનોલોજી સાથેનું કૃષિ પ્રદર્શન તેમજ ખેડૂતો અને પશુપાલકોનું સન્માન તેમજ યોજનાકીય માહિતી અને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા.