
રાજેશ વસાવે, દાહોદ
દુધમતી નદીને પુન:જીવિત કરવાના પ્રોજેક્ટનો પ્રારંભ કરાવતા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર
આ પ્રોજેક્ટ અંતર્ગત ૧૨ વિકાસ કાર્યો રૂ. ૧૦૧ લાખના ખર્ચે સાકાર કરાશે, ૨૫ હજાર દિવસથી વધુની માનવ રોજગારી મળશે.
દૂધમતી પ્રોજેક્ટ સાકાર થવાથી નદી બારેમાસ વહેતી થશે, ભૂર્ગભ જળસ્તરમાં વધારો તેમજ નદીની જળ સંગ્રહશક્તિમાં ૧.૩૭ લાખ ઘન મીટરનો થશે વધારો
દાહોદ, તા. ૨૧ :
દાહોદની નીમનળીયા ગ્રામ પંચાયત ખાતે દુધમતી નદીનું ઉદગમ સ્થાન આવેલું છે. જેને મનરેગા યોજના તેમજ પ્રકુતિ મિત્ર મંડળના સહયોગથી નદીને પુન:જીવિત કરવાના પ્રોજેક્ટનો આજે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે પ્રારંભ કરાવ્યો છે. આ વેળાએ સાંસદશ્રીએ પ્રધાનમંત્રીશ્રીના ૭૫ અમૃત સરોવરની સંકલ્પનાને દાહોદમાં સાકાર કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
દૂધમતી નદીને પ્રુન:જીવત કરવાના મહત્વના પ્રોજેક્ટનો પ્રારંભ કરાવતા સાંસદ શ્રી ભાભોરે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવના અવસરે ૭૫ અમૃત સરોવર માટેનો જે સંકલ્પ આપણને આપ્યો છે તેને આપણે દ્દઢ સંકલ્પ સાથે અવશ્ય સાકાર કરીશું. જળ સંગ્રહ અને જળ સંચય એ અમારી સરકારની મહત્વની પ્રાથમિકતા છે. જળ સંગ્રહ-સંચય થશે તો કુવા અને બોરમાં પણ પાણી ઉપલબ્ધ થશે.
તેમણે જણાવ્યું કે, નીમનળીયા ગામ ખાતેથી આપણે દૂધમતી નદી પુન:જીવિત કરવાના પ્રોજેક્ટનો શુભારંભ કરી રહ્યાં છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ચેકડેમના બે કામો, ગલીપ્લગના પ કામો, નાળા પ્લગના ૧ કામ, ગેબિયન સ્ટ્રકચરનું ૧ કામ, પથ્થર પાળા અને પથ્થર પેચીગનું એક કામ, તળાવ ઉંડા કરવાનું ૧ કામ, વનીકરણ સહિત કન્ટુર ટ્રેચનું ૧ કામ એમ કુલ ૧૨ વિકાસ કાર્યો હાથ ધરાશે. અંદાજે રૂ. ૧૦૧ લાખના ખર્ચે સાકાર થનાર આ પ્રોજેક્ટ થકી ૨૫ હજાર દિવસથી વધુની માનવ રોજગારી મળશે.
તેમણે ઉમેર્યું કે, દૂધમતી પ્રોજેક્ટ સાકાર થવાથી નદી બારેમાસ વહેતી થશે અને તેના આસપાસના વિસ્તારમાં ભૂર્ગભ જળસ્તરમાં વધારો થશે. તેમજ નદીની જળ સંગ્રહશક્તિમાં અંદાજે ૧.૩૭ લાખ ઘન મીટરનો વધારો થશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલાએ જણાવ્યું કે, મહાત્મા ગાંધી નરેગા યોજના અંતર્ગત આ વર્ષે સુઝલામ સુફલામ અભિયાનમાં ૧૦૯૦ જેટલા જળસંચય અને જળસંગ્રહના કામો કરાશે. જેનાથી ૫.૮૬ લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન થશે. નરેગા યોજનાની વાત કરીએ તો જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧૦૦ લાખથી વધુ માનવદિનની રોજગારી ઉત્પન્ન કરવાનો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ જિલ્લામાં જળ સંગ્રહ જળ સંચયના વિવિધ વિકાસકાર્યોના આયોજન વિશે વાત કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડો. કમલેસ ગોસાઇ, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓ, ગામના સરપંચશ્રી, ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.