Reading:ફતેપુરા તાલુકામાં વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ચિંતામાં મુકાયા,પંથકમાં કમોસમી વરસાદ થાય તો ચણા તથા તુવેરના પાક સહિત રવી સીઝનને નુકસાન પહોંચવાની આશંકા
રાજસ્થાનમાં સર્જાયેલા લો પ્રેસરના પગલે ફતેપુરા તાલુકામાં વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ચિંતામાં મુકાયા,કમોસમી વરસાદ થાય તો ચણા તથા તુવેરના પાક સહિત રવી સીઝનને નુકસાન પહોંચવાની આશંકા
સુખસર,તા.૨
ફતેપુરા તાલુકામાં ગત રોજથી આકાશમાં વાદળો છવાતા ઠંડીનું જોર ઘટયું છે.પરંતુ બીજીવાર અને કમોસમી વરસાદ થાય તો ખેડૂતોના રવિ સિઝનના પાકોમા વ્યાપક નુકસાન પહોંચવાના અણસાર જણાતા ખેડૂતો ચિંતિત બન્યા હોવાનું જાણવા મળે છે. હાલ જો કમોસમી વરસાદ થાય તો ચણા તથા તુવરના પાકને મોટું નુકસાન પહોંચી શકે તેમ છે.
હાલ છેલ્લા બે દિવસથી આકાશમાં વાદળો છવાતા અને કમોસમી માવઠાના અણસાર જણાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.જોકે હાલ તુવેરનો પાક તૈયાર થવા આવેલો છે.તે ખેતરોમાં છે.અને જો હાલમાં કમોસમી વરસાદ થાયતો તુવેરના પાકને મોટું નુકસાન પહોંચે તેવું જણાઈ રહ્યું છે.જ્યારે બીજીબાજુ રવી સીઝનના ચણાની ખેતી પણ હાલમાં સારી રીતે પાકની તરફ જઈ રહી છે.ત્યારે જો કમોસમી વરસાદ થાય અને વાદળોના લીધે ચણાના તથા તૈયાર થયેલ તુવરના પાકમાં જીવાત પડવાની સંભાવના પણ વધી જવા પામતા મોટું નુકસાન થવાનો ભય જણાતા ખેડૂતોમાં નિરાશા જોવા મળે છે.જોકે આ અગાઉ કમોસમી વરસાદથી ચણા તથા તુવેરના પાકમાં ઇયળનો ઉપદ્રવ વધતા ખેડૂતોએ દવાનો છંટકાવ કરતા ઉપદ્રવમાં ઘટાડો જોવા મળ્યો હતો.પરંતુ હાલ આકાશમાં વાદળો છવાતા ચણાના પાકમાં ઇયળોનો ઉપદ્રવ વધવાના અણસાર જણાતા ચણાના પાકમાં વ્યાપક નુકસાન થાય તેમ હોય ખેડૂતોએ ઊંચા ભાવે બિયારણ ખાતર લાવી કરેલ વાવેતર પ્રમાણે ઉપજમાં ઘટાડો થવાની શક્યતા જણાતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી જવા પામી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે વરસાદ થાય તો ઇટ ભટ્ટાઓમાં પણ વ્યાપક નુકસાન પહોંચવાના સંકેત જણાઈ રહ્યા છે.તેમજ વાદળછાયા વાતાવરણથી તેમજ ઠંડીના કારણે પ્રજામાં રોગચાળો વકરે તેવી પણ સંભાવના જણાઈ રહી છે. જોકે હાલ કમોસમી વરસાદ થાય તો ખાસ કોઇ ફાયદો નથી પરંતુ ખેતીવાડીમાં તથા લોકોના આરોગ્યને મોટું નુકસાન થાય તેવું જણાઈ રહ્યું છે.