
દક્ષેશ ચૌહાણ, ઝાલોદ
ઝાલોદ વિધાનસભા મતદાર વિભાગ જોગ ઉમેદવારી પત્રો ભરવા તેમજ પરત ખેંચવા નોટિફિકેશન બહાર
ઝાલોદ વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી શ્રી આર.આર. ગોહેલે એક યાદીમાં જણાવ્યું છે કે, ચૂંટણી અધિકારી, ઝાલોદ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી ઝાલોદની કચેરી, મામલતદાર કચેરી, બીજા માળે, ઝાલોદ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ઝાલોદ વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર ઝાલોદની કચેરી, બીજા માળે, ઝાલોદ સમક્ષ આગામી તા. ૧૦-૧૧-૨૨ થી તા. ૧૭-૧૧-૨૨ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧ થી બપોરનાં ૩ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલા ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. જે માટે નિયમોનુસાર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
ઉમેદવારી પત્રોની ચકાસણી તા. ૧૮-૧૧-૨૨ ના રોજ સવારના ૧૧ વાગ્યાથી ઉક્ત કચેરીએ હાથ ધરાશે. તા. ૨૧-૧૧-૨૨ ના બપોરના ૩ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટિસ ઉક્ત કોઇ પણ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે. મતદાન કરવાનું થશે તો તા. ૫-૧૨-૨૨ ના રોજ સાવરે ૮ થી સાંજે ૫ વચ્ચે થશે તેમ ચૂંટણી અધિકારીશ્રી તરફથી જણાવાયું છે તેમ શ્રી આર. આર. ગોહેલે જણાવ્યું છે.