
જીગ્નેશ બારીયા /રાજેશ વસાવે :- દાહોદ
ઝાલોદ તાલુકાના ઘોડિયા ગામે મિટિંગો રાખવા મામલે પાચ વ્યક્તિઓના ટોળાએ એક વ્યક્તિના ઘરે કર્યો પથ્થરમારો
દાહોદ તા.૨૫
ઝાલોદ તાલુકાના ઘોડીયા ગામે મીટીંગો રાખવા મામલે થયેલ ઝઘડામાં પાંચ જેટલા ઈસમોએ પોતાની સાથે લાકડીઓ, તલવાર તેવા મારક હથિયારો સાથે એક વ્યક્તિને ત્યાં ઘસી આવી પથ્થર મારો કર્યાં બાદ વિસ્તારમાં ભયનું વાતાવરણ ઉભું કરતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ગત તા.૨૩મી ઓગષ્ટના રોજ ઘોડીયા ગામે રોજહેર ફળિયામાં રહેતાં વિનુભાઈ કસુભાઈ અડએ પોતાના ગામમાં રહેતાં સુનિલભાઈ બાબુભાઈ અડને મોબાઈલ ફોન ઉપર ફોન કર્યાેં હતો અને બેફામ ગાળો બોલી કહેલ કે, તારા ઘરે કેવી મીટીંગો રાખેે છે, તેમ કહેતાં સુનિલભાઈએ જણાવેલ કે, મારા ઘરે દુકાન છે અને મારા ઘરે કોઈપણ આવે અને જાય, હું કંઈ મીટીંગ રાખતા નથી, તેમ કહી ફોન મુકી દીધો હતો. આ બાદ વિનુભાઈ કસુભાઈ અડ, બહાદુરભાઈ કસુભાઈ અડ, વિશાલભાઈ વિનુભાઈ અડ, કસુભાઈ રૂપાભાઈ અડ અને કલ્પેશભાઈ વિનુભાઈ અડ પોતાની સાથે લાકડીઓ, તલવાર તેમજ હાથમાં પથ્થરો લઈ સુનિલભાઈના ઘર તરફ ઘસી આવ્યાં હતાં અને સુનિલભાઈના ઘર ઉપર પથ્થર મારો કર્યાેં હતો. વિસ્તારમાં આ બનાવને પગલે ભયનું વાતાવરણ ઉભું કરી ટોળું નાસી જતાં આ સંબંધે સુનિલભાઈ બાબુભાઈ અડ દ્વારા ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————————————-