નીલ ડોડીયાર :- દાહોદ
ફતેપુરામાં સરકારી જમીન ઉપર સરપંચની મિલીભગતથી થયેલ દબાણો દૂર કરી સરપંચને હોદ્દા પરથી દૂર કરવા ડીડીઓને રજૂઆત.
ફતેપુરામાં સર્વે નંબર-૩૨૨ વાળી ગામતળની સરકારી જમીનમાં ગ્રામ પંચાયત સરપંચ તથા એક વેપારીની સહ ભાગીદારીમાં દબાણ કરવામાં આવેલ હોવાનો આક્ષેપ.
દબાણ કર્તાંને છાવરવા અને તાલુકા તંત્રને ગેરમાર્ગે દોરવા બદલ સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરવા રજૂઆત કરાઈ.
દાહોદ ,તા.૨૮
ફતેપુરા તાલુકામાં સરકારી જમીનો ઉપર દબાણ કરી માલદાર અને મળતીયા લોકો જમીનો હડપ કરી રહ્યા છે.તેમાં ક્યારેક સ્થાનિક તંત્રનો પણ સહકાર હોવા બાબતે રજૂઆતો થાય છે.તેવી જ રીતે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ખાતે આવેલ સરકારી જમીનમાં એક સ્થાનિક વેપારી દ્વારા સરપંચના મેળાપીપણાથી પાકું બાંધકામ કરી જમીન હડપ કરવા સંબંધે સ્થાનિક નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.છતાં પણ તે પ્રત્યે ગ્રામ પંચાયત દ્વારા કોઈ ધ્યાન નહીં આપી દબાણ કર્તાને છાવર વાની થયેલ કોશિશ સંબંધી રજૂઆત કરી સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરવા દાહોદ ડી.ડી.ઓ.ને રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ રેવન્યુ સર્વે નંબર-322 વાળી ગામતળની સરકારી જમીનમાં ગ્રામ પંચાયત ફતેપુરાના સરપંચ દ્વારા એક વેપારીની સાથે સહ ભાગીદારીમાં કરવામાં આવેલ બાંધકામ હટાવી સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે.તેમાં ફતેપુરામાં ઉપરોક્ત સર્વે નંબર વાળી ગામતળની સરકારી જમીન આવેલ છે.આ જમીન ગ્રામ પંચાયતના વહીવટ હેઠળ ચાલે છે.જેમાં વર્ષ 2020 મા ફતેપુરાના એક વેપારી સર્વે નંબર 319 કબજેદાર છે.પરંતુ તેઓએ ફતેપુરા સરપંચ સાથે મળી નજીકમાં આવેલ ગામતળની જમીનમાં બહુમાળી કોમ્પલેક્ષ બનાવી ગેરકાયદેસર બાંધકામ કરેલ હતું.આ દબાણ બાબતે ફતેપુરાના ગ્રામજનો દ્વારા દબાણ હટાવવા તેમજ ગેરકાયદેસર થયેલ બાંધકામ દૂર કરવા માટે અનેકવાર રજુઆતો પણ કરી હતી.પરંતુ આજદિન સુધી દબાણ દૂર થયેલ નથી.તેમજ આ બાબતને ધ્યાને લઇ તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા દ્વારા જા.ન તા.5/મહેસુલ/વશી- 1757 તારીખ 18/11/2020 ના પત્રથી નોટિસ આપેલ હતી.જેમાં આ દબાણ કરનારને છાવરનાર સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરવાના આશયથી સરપંચ દ્વારા તાલુકા પંચાયતના અધિકારીઓને ગેરમાર્ગે દોરી દબાણ દૂર કરેલ ન હતું.આ દબાણ બાબતે ડી.એલ.આઈ.આર દાહોદ દ્વારા તા. 19/07/2021 રોજ માપણી શીટ કરેલ છે.જેમાં જણાવેલ છે કે સદર પાકુ મકાન બનાવી પાકું બાંધકામ કરેલ છે.જે દબાણ રે.સ.નં. 319 દ્વારા કરાયુ હોવાનું જણાવેલ છે. ઉપરોક્ત હકીકતો તેમજ રજૂ થયેલ માપણી સીટને ધ્યાને લઇ આ દબાણ દૂર કરવા તેમજ પાકું બાંધકામ તોડી પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી દબાણ કર્તા સાથે સહભાગીદારી નિભાવી પોતાની સત્તાનો દુરુપયોગ કરનારા ફતેપુરા સરપંચને તાત્કાલિક હોદ્દા ઉપરથી દૂર કરવા અને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા ફતેપુરાના ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ફતેપુરા ગ્રામજનોને યોગ્ય ન્યાય નહી મળે તો ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાનું જાણવા મળે છે.