20 લાખની લેવડદેવડ મામલે પુરાવાના આધારે નિર્ણય,ગેરકાયદેસર વ્યાજખોરી સામે પીડિતોમાં નવી આશા. દાહોદમાં ચીફ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:ચેક રિટર્ન કેસમાં આરોપી નિર્દોષ જાહેર

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

20 લાખની લેવડદેવડ મામલે પુરાવાના આધારે નિર્ણય,ગેરકાયદેસર વ્યાજખોરી સામે પીડિતોમાં નવી આશા.

દાહોદમાં ચીફ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:ચેક રિટર્ન કેસમાં આરોપી નિર્દોષ જાહેર

દાહોદ, તા. ૦૪

દાહોદની નામદાર કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપવામાં આવતા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. કોર્ટએ પુરાવાના આધારે આરોપી જયેશ રામગોપાલ અગ્રવાલને નિર્દોષ જાહેર કરવાનો હુકમ કર્યો છે, જેના કારણે ખાસ કરીને ગેરકાયદેસર વ્યાજખોરીના ત્રાસથી પીડિત લોકોમાં આનંદની લાગણી સાથે નવી આશા જાગી છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં રહેતા જયેશ અગ્રવાલે વર્ષ 2021માં મિલકત ખરીદવા માટે જીતેન્દ્ર સમશેરબહાદુરસિંહ પાસેથી રૂ. 20 લાખ ઉછીના લીધા હતા. આ રકમની ચુકવણી માટે આપવામાં આવેલ ચેક બાદમાં બાઉન્સ થતા ફરિયાદી દ્વારા કોર્ટમાં કલમ 138 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

 

આ કેસ લાંબા સમયથી કોર્ટમાં ચાલતો હતો. સુનાવણી દરમિયાન આરોપી પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓમાં દર્શાવવામાં આવ્યું હતું કે આરોપી દ્વારા મૂળ રકમ વ્યાજ સહિત પરત ચૂકવી દેવામાં આવી હતી. છતાં ફરિયાદી દ્વારા વધુ નાણાં મેળવવાના આશયથી ચેક બેંકમાં જમા કરાયો હોવાનું કોર્ટ સમક્ષ રજૂ થયું હતું.કોર્ટએ નોંધ્યું કે 20 લાખ જેવી મોટી રકમ રોકડમાં આપવાનો મુદ્દો પણ શંકાસ્પદ છે અને તે અંગે યોગ્ય પુરાવાનો અભાવ છે. તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કોર્ટએ આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો.

આ ચુકાદા બાદ દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર વ્યાજખોરીના મુદ્દે ફરી ચર્ચા તેજ બની છે. છેલ્લા કેટલાક વર્ષોથી જિલ્લામાં ઊંચા વ્યાજે નાણાં આપતા તત્વો દ્વારા સામાન્ય લોકોને હેરાન-પરેશાન કરવાની ઘટનાઓ સામે આવી રહી છે.સ્થાનિક લોકોમાં હવે એવી માંગ ઉઠી રહી છે કે ગેરકાયદેસર વ્યાજખોરી સામે પોલીસ અને પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી નિર્દોષ લોકોને ન્યાય મળી શકે.

Share This Article