
ઇન્દોર દાહોદ રેલ લાઇન પ્રોજેક્ટ:દાહોદથી ઝાબુઆ વચ્ચે વર્ષ 2026ના પ્રારંભમાં ટ્રેન દોડશે, કામ પૂરજોશમાં.!
ગુજરાત મધ્યપ્રદેશની બોર્ડર ઉપર પ્લેટફોર્મનું કામ અંતિમ તબક્કામાં,
ઝાબુઆના રંગપુરા થી ધાર સુધી તબક્કાવાર જમીન સંપાદનની કામગીરી ઝડપી બનાવી..
ઇન્દોર દાહોદ રેલલાઈનને ઝડપથી પૂર્ણ કરવા આ પ્રોજેક્ટને પીએમ ગતિ શક્તિ યોજનામાં સમાવેશ.!
દાહોદ તા.15
દાહોદ-ઇન્દોર રેલવે લાઇન પરિયોજના અંતર્ગત એક એવા રેલવે સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે જે ભૌગોલિક અને વહીવટી દ્રષ્ટિએ અનોખું છે. આ સ્ટેશનનો અડધો ભાગ મધ્ય પ્રદેશની સરહદમાં આવેલા બાવડી ગામમાં અને બાકીનો અડધો હિસ્સો ગુજરાતના દાહોદ જિલ્લાના ઉચવાણિયા ગામની સરહદમાં આવે છે. આ સ્ટેશનનું નિર્માણ કાર્ય હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.
રેલવે વિભાગ 2026માં શરૂઆતી તબક્કામાં દાહોદથી ઝાબુઆ સુધી ટ્રેનનું સંચાલન શરૂ કરી શકે છે.દાહોદ-ઇન્દૌર રેલ પરિયોજનામાં આ નવું રેલવે સ્ટેશન મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લાના પીટોલ પાસે આવેલા બાવડી ગામ અને ગુજરાતના દાહોદ જિલ્લાના ઉચવાણીયા ગામની સરહદ પર બની રહ્યું છે. જેમાં સ્ટેશનનું મોટાભાગનું બાંધકામ જેવું કે પ્લેટફોર્મ, મુખ્ય ભવન,મુસાફરો માટે શેડ, ફૂટ ઓવરબ્રિજ અને રેલવે સ્ટાફ માટેના ક્વાર્ટર પણ તૈયાર થઈ ગયા છે. આ પ્રોજેક્ટમાં દાહોદથી કતવારા વચ્ચે રેલવે લાઇન પાથરી દેવામાં આવી છે અને ટ્રાયલ પણ થઇ ગયું છે. અહીં ઇલેક્ટ્રીક લાઇનના થાંભલા પણ નાખી દેવાયા છે. આ સાથે ઝાબુઆ ખાતેનું સ્ટેશન પહેલાથી જ તૈયાર થઈ ચૂક્યું છે અને હવે પીટોલ સ્ટેશન પણ લગભગ તૈયાર થઈ ગયો છે.
દાહોદ-ઇન્દોર રેલ પરિયોજના પ્રોજેક્ટની લંબાઈ રેલવે લાઇનની લંબાઈ: 204.67,કિ.મી. બ્રિજ : 41 મોટા, 290 નાના તેમજ પ્રોજેક્ટનો ખર્ચ:2873.11 કરોડ રૂપિયા થશે તેમજ બંને રાજ્ય વચ્ચે સ્ટેશન નિર્માણનું મુખ્ય કારણ બંને ગામ અને આજુબાજુના ફળિયાંમાંથી આવનાર મુસાફરો માટે સ્ટેશન પહોંચવું સહેલું થાય એટલું જ નહીં બાવડી અને ઉચવાણિયા સહિત આસપાસના અનેક ગામને ફાયદો થશે આ રેલ ટ્રેક માટે સીધી લાઇન, જમીનની સપાટાઇ તેમ અન્ય અવરોધોની ગોઠવણીને આધારે સ્ટેશનનું સ્થાન નક્કી કરાયું છે.
મધ્યપ્રદેશમાં જમીન સંપાદનની પ્રક્રિયા ઝડપી બનાવાઈ
દાહોદ-ઇન્દૌર રેલ પરિયોજનાને મધ્ય પ્રદેશ તરફ આગળ ધપાવવા માટે ઝાબુઆના રંગપુરાથી ધાર જિલ્લાની સરહદ સુધી જમીન સંપાદનની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. સર્વેક્ષણ બાદ ઝાબુઆ તાલુકાના 5 ગામો અને રામા તાલુકાના 16 ગામોમાં કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દાવા-આપત્તિઓના નિરાકરણ બાદ આગામી બે મહિનામાં વળતર આપવાની શક્યતા છે.
બાવડી-ઉચવાણિયામાં બનેલાં સ્ટેશનનું નામ પીટોલ રાખવામાં આવશે
મધ્ય પ્રદેશના બાવડી અને ગુજરાતના ઉચવાણિયાની હદમાં બનાવવામાં આવેલા આ રેલવે સ્ટેશનનું નામ પીટોલ રાખવામાં આવનાર છે. જોકે, પીટોલ અહીંથી ત્રણથી સાડા ત્રણ કિમી દૂર છે. ભૂતકાળમાં થયેલા સર્વેને કારણે આમ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યુ છે. આ સાથે ગુજરાતની હદમાં દાહોદ બાદ ચંદવાણા ગામની હદમાં બનાવવામાં આવેલા રેલવે સ્ટેશનનું નામ કતવારા આપવામાં આવ્યુ છે. જોકે, કતવારા ગામ પાંચેક કિમી હાઇવે ઉપર દૂર આવેલું છે. કતવારા રેલવે સ્ટેશનનું નામ ચંદવાણા કરવા નામ બદલવા ગ્રામજનોએ રજૂઆત પણ કરી હતી. પરંતુ પરિણામ મળ્યુ નથી.