
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકામાં ગ્રામ પંચાયત ચૂંટણીના પડધમ:વર્ષો પછી પણ ગ્રામ્ય પ્રજાને સેવાભાવી કાર્યકરની તલાશ!*
*ફતેપુરા તાલુકામાં 55 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી 22 જુનના રોજ યોજનાર છે*
*ચૂંટણીમાં ઝંપલાવનાર સરપંચના ઉમેદવાર તથા વોર્ડ સભ્યો દ્વારા ગ્રામ્ય પ્રજાને સામ-દામ દંડ અને ભેદની નીતિથી પોતાના તરફ આકર્ષવાના ખેલની શરૂઆત?*
સુખસર,તા.8
ફતેપુરા તાલુકામાં આઠ વર્ષ બાદ ગ્રામ પંચાયતોની યોજાઈ રહેલ ચૂંટણીમાં ઝંપલાવવા ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચ તથા વોર્ડ સભ્યો એક-એક બેઠક માટે અનેક ઉમેદવારો થનગની રહ્યા છે.અને ચૂંટણીમાં ઝંપલાવી પોતાની જીત થાય તેના માટે ગ્રામ્ય પ્રજાને પોતાના તરફ આકર્ષવા માટે કોણીએ ગોળ પણ ચોંટાડી રહ્યા છે.તેમજ કેટલીક જગ્યાઓ ઉપર શામ-દામ દંડ અને ભેદની નીતિ અખત્યાર કરવા ઉમેદવારો સહીત તેમના ટેકેદારો સજ્જ થઈ રહ્યા છે.અને જે-તે ઉમેદવારો પોતાની જીત થાય તેના માટે રાત દિવસ એક કરી રહ્યા હોવાનું તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નજર નાખતા અને થતી ચર્ચાઓ ઉપરથી જાણવા મળી રહ્યું છે.ત્યારે પ્રજાએ કોઈપણ ઉમેદવારની ખોટા લોભ-લાલચ,ધમકી કે દબાણથી પોતાનો મત નહીં આપતા જે પણ યોગ્ય ઉમેદવાર હોય તેને ચૂંટી લાવી આવનાર પાંચ વર્ષમાં ગ્રામ વિકાસ કરવા ગામનું સુકાન સોંપવા જાગૃતિ રાખવી ખૂબ જ જરૂરી છે.
ફતેપુરા તાલુકામાં 22 જૂન 2025 ના રોજ ગ્રામ પંચાયત ચૂંટણી યોજાનાર છે.ત્યારે 50 સામાન્ય તથા 5 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાનાર છે.સરપંચ તથા વોર્ડ સભ્યો બનવા ઈચ્છુક ઉમેદવારોનો ઉત્સાહ દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે.અને ગ્રામ્ય વિસ્તારોમાં દિવસ અને રાત્રિના સમયે ખાટલા મીટીંગો યોજાઇ રહી છે.જેમાં સરપંચની એક સીટ અને વોર્ડ સભ્યોની એક-એક સીટ માટે અનેક ઉમેદવારો ચૂંટણી લડવા સજ્જ થયા છે.અને આઝાદીના આઠ દાયકા સુધી પહોંચેલા સમયે જે વિકાસની કામગીરી સરપંચો,તાલુકા જિલ્લા- સભ્યો,એમ.એલ.એ,એમ.પી સાથે જે-તે પક્ષની સરકાર કરી શકી નથી તે કામગીરી કરવા હાલમાં ચૂંટણી લડી રહેલા ઉમેદવારો ગ્રામ્ય વિસ્તારની જનતાને વચનો આપી વિકાસ કામગીરી કરવા બાહેધરી આપી રહ્યા છે!જ્યારે પ્રજામાં પણ જાગૃતિ છે ત્યારે પ્રજા પણ કોઈ ઉમેદવારનું કીધેલું નહીં પરંતુ પોતાની મરજી પ્રમાણે લાયક ઉમેદવારને મત આપી વિજયી બનાવવા જેટલી જાગૃત થઈ ચૂકેલી છે.અને જે-તે ગ્રામ પંચાયતોમાં હાલ ઊભા રહેલા સરપંચ તથા વોર્ડ સભ્યો પોતાની જ જીત નિશ્ચિત હોવાનું જણાવી રહ્યા છે.પરંતુ ફતેપુરા તાલુકામાં ચૂંટણી પરિણામ બાદ જ પ્રજાના મનનો ભેદ જાણી શકાશે તેમ હાલના સંજોગોને જોતા જણાઈ રહ્યું છે.
હાલ ફતેપુરા તાલુકામાં યોજાઇ રહેલ ગ્રામ પંચાયત ચૂંટણીમાં એક-એક સીટ માટે અનેક ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવી ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કરવા અધીરા બન્યા છે.જોકે જે-તે ગ્રામ પંચાયતમાં ઉભા રહેલા સરપંચ પદના ઉમેદવારો એકથી વધુ સારા અને વિકાસ કરી શકે તેવા હોઈ શકે!પરંતુ આ બંનેમાં વધુ સારા અને ગ્રામ્ય વિકાસને વધુ કોણ પ્રાધાન્ય આપી શકે તેવા ઉમેદવારને મત આપી વિજયી બનાવવા પ્રજાએ ધ્યાન રાખવાની જરૂરત છે.જોકે હાલમાં સરપંચ તથા વોર્ડ સભ્ય તરીકે ઉભા રહેલા તમામ ઉમેદવારો પોતાની ગ્રામ પંચાયતના નાગરિકોને વિકાસ કામો કરી ઊંચે લાવવાના વચનો આપી રહ્યા છે.પરંતુ પ્રજાએ પણ સાત ગળણે છાળીને પાણી પીવું તે પણ જરૂરી છે.જોકે આઝાદીના દાયકાઓ બાદ પણ પ્રજા સેવાભાવી કાર્યકરની તલાશમાં છે.
અત્રે એ બાબત પણ ઉલ્લેખનીય છે કે,લોકશાહી શાસનમાં યોજાતી જે-તે ચૂંટણીમાં આઝાદીના દાયકાઓથી ચાલી આવતી પરંપરા મુજબ ચૂંટણીમાં ઊભા રહેતા કાચીંડાની જેમ રંગ બદલતા જે-તે ઉમેદવાર પ્રજાને હાથ જોડી બે મીઠા બોલ બોલી જીત મેળવતા આવ્યા છે. ત્યાર બાદ પાંચ વર્ષ સુધી પ્રજાની સામે ન જોવું,ન બોલવું,ન સાંભળવું ની નીતિ અપનાવી પોતાની સત્તા અને મદમાં રાચતા હોય છે.પરંતુ પ્રજાએ ધ્યાન રાખવાની જરૂરત છે કે પોતાના વિસ્તારમાં કોણ ઉમેદવાર છે?તેણે અગાઉ કેટલા અને કેવા કામો કર્યા? ચૂંટણી જંગમાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારે આ ગામ સત્તામાં રહી કે વિના સત્તાએ સ્થાનિક પ્રજાને કેવો અને કેટલો સહકાર આપ્યો છે?અને હવે તે ચૂંટાઈ આવે તો તે પ્રજાના દુઃખોમાં ભાગીદાર થશે કે કેમ?તેની સચોટ તારવણી કાઢ્યા બાદજ મત આપવા જોઈએ. તાલુકામાં કેટલીક ગ્રામ પંચાયતોમાં સરપંચ તથા વોર્ડ સભ્યો પ્રજાને સામ-દામ,દંડ અને ભેદની નીતિથી પોતાના તરફ આકર્ષી વિજયી થવાના રસ્તા અપનાવે છે તે કાયદાકીય રીતે યોગ્ય અને માન્ય નથી.
અત્રે ખાસ નોંધનીય બાબત એ પણ છે કે,રાજ્ય તથા કેન્દ્ર સરકારમાં સરકારના શાસનની સ્થિર રાખવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતોનો મહત્વનો ફાળો છે.અને જેમાં ખાસ કરીને જે-તે ગ્રામ પંચાયતનો સરપંચ જે-તે ચાલુ સરકારની તરફેણમાં હોય તેના શાસનને આંચ આવતી નથી.પરંતુ હાલ ફતેપુરા તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની દ્રષ્ટિએ જોઈએ તો જે લોકો ચાલુ સરકારમાં સરકારના સમર્થકો મનાઈ રહ્યા છે તેમાંથી કેટલાક તકવાદી સમર્થકો અન્ય પક્ષના સમર્થકોને ગ્રામ પંચાયત ચૂંટણી જીતાડવા માટે સમર્થન આપી રહ્યા હોવાની ચર્ચા પણ તાલુકાની અનેક ગ્રામ પંચાયતોની પ્રજામાં ચર્ચાઇ રહી છે.અને તેમાં તથ્ય હોવાનું પણ નકારી શકાય નહીં.જેના લીધે આવનાર ચૂંટણીઓમાં ભાજપને મોટો ફટકો પડે તેવા પણ એંધાણ જણાઈ રહ્યા છે.
અહીંયા જણાવવું ખાસ જરૂરી છે કે,ફતેપુરા તાલુકામાં યોજાઇ રહેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન અને સૂચના મુજબ તાલુકામાં ચૂંટણી સંદર્ભે કોઈપણ ગ્રામ પંચાયતમાં સુલેહ શાંતિનો ભંગ થાય નહીં અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણીઓ યોજાય તેના માટે ફતેપુરા,સુખસર પોલીસ સ્ટેશનને ચાંપતી નજર રાખવા જણાવાયું છે. અને જે પણ ગ્રામ પંચાયતમાં સરપંચ કે વોર્ડ સભ્ય અથવા તેમના સમર્થકો દ્વારા કાયદો અને વ્યવસ્થાનું ઉલ્નધન કરાશે અને તેમાં જે વ્યક્તિ દ્વારા કસુર વાર હશે તો જે-તે વ્યક્તિ ગુનેગાર ઠરશે સાથે- સાથે જે સરપંચ,વોર્ડ સભ્ય ઉમેદવારનો સમર્થક હશે તે ઉમેદવારને પણ તેટલો જ કસૂરવાર ગણવામાં આવશે અને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.તેવી તાલુકામાં જે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર છે ત્યાં મીટીંગ રાખી સ્થાનિક પોલીસ અધિકારીઓ દ્વારા કડક સૂચના આપી ઉમેદવારો સહિત પ્રજાને જાગૃત કરવામાં આવી રહ્યા છે.છતાં ચૂંટણી સમયે પોલીસ તંત્ર એલર્ટ મોડ ઉપર રહે તે જરૂરી જણાઇ રહ્યું છે.