
રાજેશ વસાવે :- દાહોદ
*‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે જાગૃત્તિ અભિયાન-દાહોદ*
*બેંક ઓફ બરોડાના કર્મચારીઓ દ્વારા દાહોદમાં પર્યાવરણ જન-જાગૃત્તિ અર્થે રેલી યોજવામાં આવી*
*પ્લાસ્ટીકનો વપરાશ પર્યાવરણ માટે હાનિકારક હોઈ સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ બંધ કરવા બેનર તેમજ સુત્રો દ્વારા આહ્વાન*
દાહોદ તા. ૩
વર્ષ ૨૦૨૫ માં પર્યાવરણ દિવસની ઉજવણી અર્થે “જગતભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો” થીમ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે દાહોદ જિલ્લામાં પ્લાસ્ટિકના ઉપયોગ ન કરવા માટે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર જન-જાગૃત્તિલક્ષી કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. જે નિમિતે દાહોદ બેંક ઓફ બરોડાના કર્મચારીશ્રીઓ દ્વારા દાહોદ નગરમાં રેલી યોજીને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીને પર્યાવરણ બચાવવા માટેની હાકલ કરવામાં આવી હતી.
પ્લાસ્ટિક ઉપયોગ થતો અટકે, પર્યાવરણ પ્રત્યે જનજાગૃત્તિ વધે અને પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવામાં આવે તે માટે રેલી યોજવામાં આવી હતી, જે દરમ્યાન પર્યાવરણને લગતા સુત્રોચ્ચાર કરીને તેમજ બેનર્સ દ્વારા પણ લોકોમાં જાગૃતિ આવે તે માટેની પહેલ કરવામાં આવી હતી.
પર્યાવરણ પ્રત્યે નાગરિકોમાં જાગૃત્તિ આવે તે માટે નાગરિકોએ સ્વયંશિસ્ત કેળવવી જરુરી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના કારણે પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે, એ સાથે પ્લાસ્ટિકના કારણે પશુઓના અને માનવના આરોગ્ય પર અનેકો પ્રકારે ખતરો તોળાઇ છે. જેથી કરીને નાગરિકો પોતે જ જાગૃત્ત બનીને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કાયમી ધોરણે ઉપયોગ બંધ કરે તે જરુરી છે.
રેલી પૂર્ણ થયા પછી બેંક કર્મચારીશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કરીને પર્યાવરણ બચાવવા માટે આહ્વાન કર્યું હતુ. આ દરમ્યાન દાહોદ ક્ષેત્રના રિજનલ મેનેજરશ્રી રામ નરેશ યાદવ, ડેપ્યુટી રિજનલ મેનેજરશ્રી પ્રવિણ ગાંધી, લીડ બેન્ક મેનેજરશ્રી જીજ્ઞેશ પરમાર, આર.બી.ડી.એમ.શ્રી અમિત અગ્રવાલ અને બેન્ક ઓફ બરોડાના તમામ કર્મચારીશ્રીઓએ રેલીમાં ભાગ લઈને પર્યાવરણ પ્રત્યે જાગરુકતા ફેલાવવા માટેનો આ શુભ સંદેશ નાગરિકો સુધી પહોચે એ માટે ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
૦૦૦