
રાજેશ વસાવે :- દાહોદ
*યુવા પેઢીમાં હાર્ટ એટેક, શ્વાસની તકલીફ જેવા કિસ્સાઓ વધ્યા છે તેની પાછળનું મુખ્ય કારણ રાસાયણિક ખાતર અને દવા : ખેડુતશ્રી ડામોર દિલીપભાઇ*
*આવનારી પેઢીને સ્વસ્થ તંદુરસ્ત અને રોગમુક્ત બનાવવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવું ખુબ જરૂરી, પ્રાકૃતિક ખેતી થકી મને વાર્ષિક ૧ લાખની આવક થાય છે. : ખેડુતશ્રી ડામોર દિલીપભાઇ*
દાહોદ તા. ૩૦
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચાકીસણા ગામના ખેડુત શ્રી દિલીપભાઇ ડામોર ૨૦૧૮ થી આત્મા પ્રોજેક્ટમાં જોડાયા પછી પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધા બાદ તેઓ પ્રાકૃતિક ખેતી કરે છે. પ્રાકૃતિક ખેતીમાં તેઓ ઋતુ પ્રમાણે મકાઇ, ડાંગર, સોયાબિન, ઘઉ, ચણા, મગ, અડદ સહિતની ખતી કરે છે અને સાથે શાકભાજીમાં તેઓ ગવાર, ભીંડા, ટામેટા ,કારેલા ,ચોળી ,દુધી ,રીંગણ ,બટાકા ,લસણ ,આદુ ,ડુંગળી જેવો પાક ગાય આધારિત ખેતી થકી કરે છે.
તેમના ખેતરમાં હાલ ૧૧૦ થી વધુ આંબાના ઝાડ છે, જેમાં કેસર, રાજપુરી, કલમી સહિત ૫ જાતના આંબાના ઝાડનું વાવેતર કરેલ છે. સાથે જામફળીના ૪૫ થી વધુ ઝાડ છે, આમળીના ૧૦, સરગવાના ૫, ચંદનના ૧૦ અને ફણસનું ઝાડ પણ ઉછેરેલ છે. તેઓની વાર્ષિક આવક એક લાખથી વધુની થાય છે. જેમાં સૌથી વધારે કમાણી શિયાળાની ઋતુમાં જામફળ અને ઉનાળામાં કેરી માંથી મળી રહે છે
પ્રાકૃતિક ખેતી વિશે વધુ વાત કરતા ડામોર દિલીપભાઈએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી હજી પણ ઘણા લોકો અજાણ છે. દરેક ખેતીમાં લોકો વધારે ઉતારો લેવા માટે રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરે છે. પરંતુ એ લોકોને ખબર નથી કે, આ રાસાયણિક ખાતર એક ઝેર છે. જેના કારણે તેનાથી પકવેલું અનાજ ખાવાથી નાના બાળકોને ભયંકર રોગો થવા પામ્યા છે. રોજબરોજ યુવાન પેઢીમાં હાર્ટ અટેક શ્વાસની તકલીફ જેવા કિસ્સાઓ વધ્યા છે. એની પાછળનું એક મુખ્ય કારણ રાસાયણિક ખાતર અને દવા છે. ખેડૂતો આવનાર સમયમાં પ્રાકૃતિક ખેતી તરફ વળે તો સારું છે,
વધુમાં તેઓએ કહ્યું કે, સરકાર દ્વારા ખેડુતોને પ્રાકૃતિક તરફ લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે., હવે ખેડુતોએ જાતે સમજવુ જોઇએ કે, આ રાસાયણિક ખાતર અને દવા ધીમું ઝેર છે એટલે તેને છોડીને પ્રાકૃતિક ખેતી કરવી જોઇએ.
દિલીપભાઇ ગૌમુત્રમાંથી જીવામૃત ઘનજીવામૃત બનાવીને છંટકાવ કરે છે. કેમકે પ્રાકૃતિક રીતે થતા પાક કે શાકભાજીમાં સ્વાદ અને મીઠાશ જ અલગ હોય છે. પ્રાકૃતિક રીતે કરેલા શાકભાજી અને ધાન્ય પાકોનુ અનાજ ખાવાથી આરોગ્યમાં ઘણો સુધારો આવ્યો છે. જેથી નાના મોટા રોગોથી છુટકારો મળ્યો છે.
દિલીપભાઈને મોડેલ ફાર્મ ની ૧૩,૫૦૦ ની સહાય પણ આપવામાં આવેલ છે સાથે ખેતીના પિયત માટે સબમર્સીબલ પંપ માટે તેમના ખેતરમાં સોલાર પેનલ પણ લગાવવામાં આવી છે. તેઓ ખે છે કે, પ્રાકૃતિક ખેતી માટે સરકાર બધી રીતે ખેડૂતોને મદદ કરવા તૈયાર છે, બસ ખેડૂત તૈયાર હોવો જોઈએ.
*આલેખન : સંદીપભાઈ માલ*
૦૦૦