
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં પ્રધાનમંત્રીના આગમન ટાણે કોંગ્રેસ આપના નેતાઓ નજરકેદ કરાતા રાજકીય ક્ષેત્રે ગરમાવો..
દાહોદ તા.25
દાહોદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન ટાણે શહેર સહી જિલ્લાભરમાં રાજકીય ક્ષેત્રે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારનો વિરોધ પ્રદર્શન ન થાય તે માટે વહીવટી તંત્ર તેમજ પોલીસે સભા સ્થળ અને સંભવિત રૂટને પોલીસ છાવણીમાં ફેરવી દીધો છે. એટલું જ નહીં તંત્ર એ તકેદારીના ભાગરૂપે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓને નજરકેદ કરી દીધા હોવાની માહિતી સપાટી પર આવી છે. ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈ પોલીસ તંત્ર અત્યંત સક્રિય મોડમાં આવી ગયું છે. સુરક્ષા એજન્સીઓ તેમજ આઇબીને ઇન્ફર્મેશન મળી છે કે વિરોધ પક્ષો ખાસ કરીને કોંગ્રેસ આમ આદમી પાર્ટી તેમજ અન્ય સામાજિક સંગઠનના કેટલાક અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ મોંઘવારી,બેરોજગારી, તેમજ સ્થાનિક પ્રશ્નોને લઈ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન વિરોધ પ્રદર્શન કરી શકે છે. જેના પગલે સંભવિત વિરોધને રોકવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે વડાપ્રધાનના આગમનના પૂર્વ સંધ્યાથી જ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં કોંગ્રેસના નેતાઓ,કોંગ્રેસના સ્થાનિક નેતાઓ, પૂર્વ ધારાસભ્યો ઉપરાંત આપના જિલ્લા પ્રમુખો અને સક્રિય કાર્યકરોને પોલીસ દ્વારા તેમના નિવાસસ્થાને જ રોકી રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન દાહોદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.