
રાજેશ વસાવે :- દાહોદ
*ધરતી આબા ગ્રામીણ ઉત્કર્ષ યોજના – દાહોદ*
*ધરતી આબા ગ્રામીણ ઉત્કર્ષ યોજના હેઠળ દાહોદ જિલ્લાના તમામ બ્લોકના લગભગ ૫૧૨ જેટલા ગામોને આવરી લેવામાં આવશે-કલેકટરશ્રી યોગેશ નિરગુડે*
*આદિજાતિ વિભાગના યોજનાકીય લાભો મૂળ લાભાર્થીઓ સુધી પહોંચે અને આદિવાસી પરિવારોનો સર્વાંગી વિકાસ થાય તે માટેના પ્રયત્નો કરાશે*
દાહોદ તા. ૧૫
વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા અને આદિવાસી સમુદાયની કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ માટે હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર વિવિધ તબક્કે અલાયદા બજેટની જોગવાઈ થકી આદિવાસી સમાજના વિકાસને વેગવાન બનાવી રહી છે. જે જનજાતિ સમુદાયના બાળકોના શિક્ષણ માટે અંતરિયાળ વિસ્તારોમાં મોડેલ સ્કૂલો, રેસિડેન્સિયલ શાળાઓના માધ્યમથી શિક્ષણની જ્યોતને વધુ મજબૂત કરી આદિવાસી સમુદાયના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી શિક્ષણને વધુ વેગવાન બનાવશે.
કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ દાહોદવાસીઓને ધરતી આબા યોજના વિશે સંદેશ આપતાં જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લો એક આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો હોવાથી દાહોદ જિલ્લામાં ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન એ વર્ષ ૨૦૨૪-૨૫ થી શરૂ કરીને ૨૦૨૮-૨૯ સુધી ચલાવવામાં આવશે. જેમાં જુદા – જુદા પ્રકારની ૧૭ મીનીસ્ટ્રી છે, જેમાં આદિવાસી સમુદાય માટે વિવિધ પ્રકારની સ્કીમો ચાલે છે, તેને આંતરીયાળ ગામો સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવાના છે. આ યોજના હેઠળ દાહોદ જિલ્લાના તમામ બ્લોકના લગભગ ૫૧૨ જેટલા ગામોને આવરી લેવામાં આવશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ યોજના અંતર્ગત આદિવાસી સમુદાયના ઉત્થાન માટે સરકારની વિવિધ યોજનાઓ ૧૦૦% છેવાડાના લોકો સુધી પહોંચે તે માટેની કામગીરી કરવામાં આવશે. જેમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-પદાધિકારીઓના સહયોગ વડે આ યોજના અમલમાં મુકવા માટે ઝુંબેશના ભાગરૂપે કામ કરવામાં આવશે, જે નિમિતે IEC કેમ્પેઈન ૧૫ જુનથી લઈને ૧૫ જુલાઈ સુધી ચાલુ કરવામાં આવશે. વધારેમાં વધારે ગામડાઓ તેમજ વધુમાં વધુ સામાન્ય લોકો સુધી પહોંચવા માટે પ્રયત્ન કરીશું.
આ યોજનામાં વ્યક્તિગત આવાસ યોજના હેઠળ આવાસો થઇ જાય, ગેસ કનેક્શન, પીએમ સૂર્ય ઘર વડે સસ્તા દરે લાઈટ સહિત મફતમાં લાઈટ મળતી થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. રોડ-રસ્તા તેમજ પીવાન પાણીની વ્યવસ્થા થઇ જાય એ સાથોસાથ પ્રવાસન ક્ષેત્રોના વિકાસની કામગીરી પણ થઇ જાય તેમજ એના અમલીકરણ કઈ રીતે ઝડપથી અને સુચારુ થાય એ માટે પુરતું ધ્યાન આપવામાં આવશે. આંગણવાડીના સહયોગ થકી મહિલા અને બાળકોનું સ્વાસ્થ્ય અને પોષણ સંબંધિત કામગીરી હાથ ધરવામાં આવશે. એ સાથે સિકલસેલ એનીમિયાના નિવારણને પ્રાથમિકતા આપવામાં આવશે.
એ સાથે અન્ય બેઝીક સુવિધાઓ જેવી કે, ગામડાઓના વિકાસ માટે શિક્ષણ અને તાલીમ એ સૌથી મહત્વનું પાંસુ છે. જેના થકી લોકો આત્મનિર્ભર અને આર્થિક વિકાસ તરફ આગળ વધી શકશે. જેના માટે આઈટીઆઈ દ્વારા પણ તાલીમ આપવામાં આવશે. દરમ્યાન જમીન સુધારણા, ખેત ઉત્પાદન, પશુપાલન જેવા પાસાઓને પણ આવરી લેવામાં આવશે. જેના થકી લોકોનું જીવન ધોરણ સુધરે એ લેવલ મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે. તમામ ગામો સુધી મોબાઈલ માટે 4 G કનેકટીવીટી પહોંચે એ મુજબ કામગીરી હાથ ધરાશે. લગભગ દાહોદમાં મોટાભાગના ગામો સુધી મોબાઈલ કનેક્ટીવીટી પહોંચી ગઈ છે. તેમજ જ્યાં બાકી હોય ત્યાં ડીઝીટલ મોબાઈલ ઈન્ટરનેટ કનેક્ટીવીટી થાય એ માટે અમે પ્રયત્ન કરીશું એમ કલેકટરશ્રીએ જણાવ્યું હતું.
ધરતી આબા ઉત્કર્ષ યોજનામાં સૌથી મહત્વનો રોલ ગ્રામ જનોનો હોય છે. લોકોનો સપોર્ટ-સહકાર મળે એ જરૂરી છે, જેથી દરેક ગામડાઓમાં ખૂટતી વ્યવસ્થાઓ અંગેનું યોગ્ય પ્લાનિંગ થાય એ ખુબ અગત્યનું છે. દરેક વ્યક્તિને મોટાભાગની સુવિધાઓ મળે તે માટેના વહીવટી તંત્ર તરફથી પૂરતા પ્રયાસો કરવામાં આવશે.
ધરતી આબા ગ્રામીણ ઉત્કર્ષ યોજના થકી આદિવાસી પરિવારો આર્થિક સમૃદ્ધિ થકી આત્મનિર્ભર બની શકશે. રાજ્ય સરકાર આદિવાસી સમાજની ઉન્નતિ માટે સતત પ્રયત્નશીલ રહી છે. આદિજાતિ વિભાગના યોજનાકીય લાભો મૂળ લાભાર્થીઓ સુધી પહોંચે અને આદિવાસી પરિવારોનો સર્વાંગી વિકાસ થાય તે માટે કટિબદ્ધ બની છે.
૦૦૦