ભરતી પ્રક્રિયાની તટસ્થ તપાસની માંગ: ઝાલોદમાં આંગણવાડી કાર્યકરની ભરતીમા અન્યાય થયાના આક્ષેપ સાથે ઉમેદવારોનું ટીડીઓને આવેદન..

Editor Dahod Live
2 Min Read

ભરતી પ્રક્રિયાની તટસ્થ તપાસની માંગ:

ઝાલોદમાં આંગણવાડી કાર્યકરની ભરતીમા અન્યાય થયાના આક્ષેપ સાથે ઉમેદવારોનું ટીડીઓને આવેદન..

ઝાલોદ તા. ૮

ઝાલોદ તાલુકાની આંગણવાડીઓમા કાર્યકર તેમજ તેડાગર બહેનોનેની ભરતી પ્રક્રિયામા અન્યાય કરાયો હોવાના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ઝાલોદ તાલુકાની આંગણવાડીઓમા ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે તંત્ર દ્વારા ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામા આવી હતી, જે ભરતી પ્રક્રિયામા કાર્યકર અને તેડાગર જગ્યાઓ ભરવામા મહિલા ઉમેદવારો સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે, જેને લઈને

આ અન્યાય સામે ન્યાય મેળવવા આદિવાસી સમાજના અગ્રણી સામાજીક કાર્યકર નિલમબેન વસૈયાની આગેવાની હેઠળ મહિલાઓ ઉમેદવારોએ આવેદનપત્ર પાઠવી

રજૂઆત કરી હતી.

 

આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર ની ખાલી જગ્યાઓ પર બહેનોએ ઓનલાઈન અરજી કરી ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ સ્થાનિક સંકલિત અને બાળવિકાસ અધિકારી દ્વારા ખોટા વાંધા વચકા અને ખોટી ભૂલો કાઢી અરજીઓ રદ કરી હતી, ત્યાર બાદ આ અંગે મહિલા ઉમેદવારોએ વાધો ઉઠવી જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખામા અપીલ કરી હતી, જેની સુનવણી તા.04-01-2024 ના રોજ દાહોદ જિલ્લા પંચાયત ખાતે રાખવામા આવી હતી, તેમાં લાગતા વળગતા દરેક ઉમેદવારોને અસલ પ્રમાણપત્ર સાથે રૂબરૂ બોલાવેલ હતા, પરંતુ સુનાવણી કમિટિ દ્વારા કોઈપણ અરજદારોને સાંભળવામાં આવેલ ન હતા, અરજદારોને મૌખિક જવાબ આપી કાઢી મુકવામા આવેલ હતા.

આંગણવાડી ની ભરતી જાહેરાત મુજબ મહિલા ઉમેદવાર જે તે આંગણવાડી વિસ્તારની સ્થાનિક હોવી જોઈએ તેમ છતા આ જાહેરાત મુજબ સ્થાનિક અરજદારોને અન્યાય થયેલ છે. તેમજ સંકલિત બાલવિકાસ અધિકારી ઝાલોદ દ્વારા અરજીની પૂરતી ચકાસણી કર્યા વિના જ નિર્ણય લેવામાં આવેલ છે તેવો આક્ષેપ અરજદારો દ્વારા કરવામા આવ્યો છે, અપીલ અધિકારી દ્વારા પૂરતા આધાર સાથે અરજદારોને સાંભળવામાં આવેલ નથી તેથી અરજદારોને ફરીથી રૂબરૂ સાંભળવામા આવે અથવા તો ભરતી રદ કરવામા આવે તેવી માંગ મહિલાઓ ઉમેદવારોએ કરી છે, જો મહિલાઓને ન્યાય નહિ મળે તો ઉગ્ર આંદોલન કરશે તેની સમગ્ર જવાબદારી વહીવટી તંત્રની રહેશે તેમ અરજીમાં જણાવેલ છે..

Share This Article