જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદના ગરીબ પરિવારના બાળકની કીડનીનુ વડોદરામાં નિઃશુલ્ક ઓપરેશન કરી તબીબે માતૃભુમિનું ઋણ ચૂકવ્યું
ગરીબ બાળકના સારવારની મદદ માટે શોશ્યલ મીડિયામાં ચાલેલી પોસ્ટ કારગર નીવડી
વડોદરાના તબીબે બાળકની નિશુલ્ક સારવાર કરી
દાહોદ તા.20
દાહોદમાં રહેતા એક ગરીબ પરિવારના બાળકની એક કીડની ખરાબ થઇ ગઇ હતી.જેથી તેનું ઓપરેશન કરવાની જરુર હતી પરંતુ પરિવાર પાસે એટલા પૈસાનો અભાવ હતો.કારણ કે આ ઓપરેશનનો ખર્ચ બે થી અઢી લાખ રુ થાય છે. સોશ્યલ મિડીયાની મદદથી મુળ દાહોદના અને હાલ વડોદરામાં હોસ્પીટલ ચલાવતા તબીબે આ બાળકનું ઓપરેશન નિઃશુલ્ક કરી આપી ઋણ ચુકવ્યુ છે.જેથી તેમના પર સોશિયલ મિડીયામાં ધન્યવાદની વર્ષા થઇ રહી છે.
ભગવાન પછી જનસામાન્યને પોતાના જીવનનો વિશ્વાસ હોય તો તે ડોક્ટર છે.તેની અનૂભુતિ કોરોના કાળમાં કરોડપતિઓને પણ થઇ ચુકી છે.આ કોરોના કાળમાં તબીબો અને દવાખાના તેમજ આરોગ્ય સેવા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓએ દર્દીઓની સેવા જીવના જોખમે કરી છે અને તે દરમિયાન તેમાનાં ઘણાં કોરોનાનો ભોગ પણ બની ચુક્યા છે.ત્યારે ઘણી વખત તબીબોની માનવતાના કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે.
આવો જ એક કિસ્સો દાહોદમાં બન્યો છે.જેમાં શહેરના સુખદેવકાકા નગરમાં રહેતાં અજયભાઇ સોલંકી સામાન્ય પગારની ખાનગી નોકરી કરે છે.તેમના 4 વર્ષના પુત્ર દક્ષની એક કીડની ખરાબ થઇ ગઇ હતી.જેથી તેનું ઓપરેશન કરવુ જરુરી હતુ પરંતુ તેના માટે ગરીબ પરિવાર પાસે પૈસાનો અભાવ હતો.જેથી સોશ્યલ મિડીયામાં આ ગરીબ બાળકને મદદ કરવાની ટહેલ સેવાભાવીઓએ નાખી હતી.જેથી દાહોદના સર્જન ડો.વાય.એમ.ભરપોડાના પુત્ર અને હાલ વડોદરમાં ગુજરાત કીડની મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ ચલાવતાં યુરોલોજીસ્ટ ડો.પ્રજ્ઞેશ ભરપોડાને તેની જાણ થતાં તેમણે સેવાની આ તક ઝડપી લીધી હતી.
તેમણે આ બાળકને વડોદરા તેમની હોસ્પીટલમાં બોલાવી દાખલ કરીને આજે તેનું સફળ ઓપરેશન એક પણ પૈસો લીધા વિના કરી દીધુ છે.આવતી કાલે બાળક ભાનમાં આવી જશે તેમ ડો પ્રજ્ઞેશ ભરપોડાએ જણાવ્યુ છે.તેઓએ જણાવ્યુ હતુ કે આ બાળકને કોોઇ પણ પ્રકારની ચીર ફાડ વિના લેપ્રોસ્કોપી દ્રારા ઓપરેશન કરાયુ છે.જો આ ઓપરેશન ન કરાય તો તેને જીવનુ જોખમ રહેલુ હોય છે.બાળક સ્વસ્થ છે અને કાલે રજા પણ આપી દઇશું.
