દે.બારીયા:નડિયાદથી આઇસર ટેમ્પોમાં ઘઉંની ગુણોની આડમાં સંતાઈ ધાનપુર જતા છ બાળકો સહીત 23 લોકો ઝડપાયા:પોલિસે ચાલક સહીત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધ્યો

Editor Dahod Live
3 Min Read

મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દેવગઢ બારિયા નગરના ધાનપુર રોડ પરથી એક ટેમ્પામાં સંતાઈને જતા કુલ ૨૩ જણ ઝડપાયા.નડિયાદ ડભાણ થી ખેતરમાં કામ કરતાં ખેતમજૂરો ધાનપુર તાલુકાના પાઉ ગામે જઈ રહ્યા હતા.છ બાળકો સહિત ડ્રાઈવર સાથે કુલ ૨૩ જણ ટેમ્પા માંથી ઝડપાયા,ટેમ્પો બંધ બોડી નો હોવાથી જ્યાં પોલીસ રોકે ત્યાં ઘઉં ભર્યા હોવાનું જણાવતો ચાલક.નડિયાદ ડભાણ થી દેવગઢ બારીઆ સુધી આ ટેમ્પો કેવી રીતે પહોંચ્યો તેવા અનેક સવાલો.આરોગ્ય વિભાગ દ્વારા તમામનું મેડિકલ ચેકઅપ કરી હોમકોરોંટાઈન કરવાની તજવીજ હાથ ધરાઈ, દે.બારીયા પોલિસે ચાલક સહીત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

દે.બારીયા તા.20

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં કોરોના વાઈરસને લઇ લોકડાઉન થતાં નગરમાં પ્રવેશતા દરેક રસ્તા ઉપર પોલીસ ચોંકી ઉભી કરવામાં આવી છે. અને ત્યાં પોલીસ ખડકી દેવામાં આવી છે ત્યારે આજ રોજ તા.૨૦ એપ્રિલના સવારના અરસામાં નગરના ધાનપુર રોડ ઉપર આવેલ પોલીસ ચોકી ઉપર એક જીજે.૨૩.વાય.૯૪૨૬ નો બંધ બોડીનો એક આઇસર ટેમ્પો આવતા હાજર પોલીસ દ્વારા ટેમ્પાને રોકવામાં આવ્યો હતો અને ટેમ્પો ચાલકને ટેમ્પામાં શું ભર્યું છે.તેવું પુછતાં ચાલકે ટેમ્પામાં ઘઉં ભર્યા હોવાનું જણાવ્યું હતું.ત્યારે પોલીસને ક્યાંક શંકા જતા ટેમ્પો બંધ બોડીનો હોવાથી તેનો પાછળનો દરવાજો બંધ હોવાથી તે દરવાજો ખોલવા માટે પોલીસ જણાવતા ટેમ્પાના ચાલક દ્વારા પાછળનો દરવાજો ખોલતા તેમાં છ બાળકો તેમજ અન્ય ૧૭ જેટલા લોકો સવાર હોવાનું જણાય આવતા ચોંકી ઉપરના પોલીસ સ્ટાફે તમામ લોકોને રોકી આ બાબતે ઉચ્ચ અધિકારી તેમજ આરોગ્યતંત્રને જાણ કરતા તેઓ ઘટનાસ્થળે દોડી ગયેલા અને આરોગ્યતંત્ર દ્વારા આ માણસોની માહિતી મેળવતા તેઓ ધાનપુર તાલુકાના પાઉ ગામના હોઈ અને નડિયાદના ડભાણમાં ખેત મજૂરી કરતા હોવાનું જણાવ્યું હતું.જે લોક ડાઉનમાં ફસાતા પોતાના માદરે વતન જવા માટે જે ખેતરમાં કામ કરતા હતા તે ખેતર માલિકે આ ટેમ્પામાં પોતાના ભાગના ઘઉં સાથે મુકવા નીકળેલ હોવાનું જણાવ્યું હતું આરોગ્યતંત્ર દ્વારા તમામ એક મજૂર સહિત ટેમ્પા ચાલકનું મેડિકલ ચેકઅપ કરી તમામને ધાનપુર હોમ કોરોંટાઈન કરવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે આ લોકડાઉનમાં સરકાર દ્વારા જે લોકો જ્યાં છે. ત્યાં જ રહે તેવું જાહેરનામુ પણ બહાર પાડવામાં આવ્યું છે.ત્યારે આ ટેમ્પામાં જીવન જરૂરિયાત માલ વહન કરવા માટેનું પ્રમાણપત્ર પણ લાગેલું હતું.ત્યારે આ ટેમ્પો નડિયાદ ડભાણથી છેક બારીઆ સુધી કોઈ જગ્યા ઉપર કેમ ચેક કરવામાં ના આવ્યો તેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે. ત્યારે હાલ દે. બારીયા પોલિસે ચાલક સહીત ત્રણ જણા વિરુદ્ધ ગુનો દાખલ કર્યાનું પોલિસસુત્રો દ્વારા જાણવા મળેલ છે.

Share This Article