જીગ્નેશ બારીઆ @ દાહોદ
દાહોદના રાછરડા ગામે પોલીસની નાઈટ પેટ્રોલીંગ વચ્ચે મધરાત્રે ચોરીના મક્કમ ઈરાદા સાથે ત્રાટક્યા તસ્કરો, બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ પર હાથફેરો કરી તસ્કરો થયા છુમંતર,પોલીસ માટે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો,ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલા ચોરી, લૂંટ જેવા બનાવોથી લોકોમાં ભયનો માહોલ,
દાહોદ તા.05
દાહોદ તાલુકાના રાછરડા ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાં બાકોરી પાડી ઘરની અંદર પ્રવેશ કર્યાે હતો અને ઘરની અંદર મુકી રાખેલ તિજારીમાંથી રોકડા રૂ., સોના – ચાંદીના દાગીના વિગેરે મળી કુલ રૂ.૨,૫૯,૫૦૦ ની મત્તાનો હાથફેરો કરી તસ્કરો અંધારાનો લાભ લઈ નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ જિલ્લામાં ફરીથી તસ્કરો સક્રિય બન્યા હોય તેમ લાગી રહ્યું છે. દાહોદ તાલુકાના રાછરડા ગામે નાયક ફળિયામાં રહેતા રાજેન્દ્રકુમાર ચીમનલાલ ચૌહાણ (કલાલ)ના બંધ મકાનને ગત તા.૦૩.૦૧.૨૦૧૯ના રોજ તસ્કરોએ નિશાન બનાવ્યું હતુ અને મકાનમાં બાકોરૂ પાડી ઘરની અંદર પ્રવેશ કર્યાે હતો. ઘરમાં મુકી રાખેલ તિજારી તોડી અંદર મુકેલ રોકડા રૂપીયા ૧,૯૯,૫૦૦, એક સોનાની ચેન કિંમત રૂ.૪૫,૦૦૦ તેમજ સોનાની વીટી નંગ.૧ કિંમત રૂ.૧૫,૦૦૦ એમ કુલ મળી રૂ.૨,૫૯,૫૦૦ ની મત્તાનો હાથફેરો કરી તસ્કરો નાસી જતા આ સંબંધે રાજેન્દ્રકુમાર ચીમનલાલ ચૌહાણ (કલાલ) દ્વારા કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.