ઝાલોદ તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાની વ્યાપક બૂમો:સુખડીના ખોટા બીલો મૂકી ટકાવારી માંગતા હોવાની ચર્ચાઓ,તટસ્થ અને ન્યાયિક તપાસ જરૂરી બની

Editor Dahod Live
3 Min Read

 દાહોદ લાઇવ ડેસ્ક….

ઝાલોદ તાલુકાની કુલ ૫૪૭ આંગણવાડીઓમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે તપાસ જરૂરી,સુખડી ના ખોટા બીલો રજૂ કરી કટકી કરવામાં આવતી હોવાની ચર્ચા,ક્લાર્ક તથા મુખ્ય સેવિકાઓની મીલીભગતથી કુલ રકમ ના ૨૦ ટકા ઉઘરાવવામાં આવતા હોવાની બૂમ

ઝાલોદ તા.06

ઝાલોદની આંગણવાડીઓમાં ચાલતી લોલમલોલ એ નવી વાત તો નથી જ પરંતુ, આ આંગણવાડીમાં ખોટા બિલો રજૂ કરી અને બિલની રકમનો વહીવટ બારોબાર કરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી છે.ત્યારે આ અંગે તપાસ કરવામાં આવશે કે ભીનું સંકેલાસે તે જોવાનું રહ્યું.

આંગણવાડી કેંન્દ્ર પર વિસ્તારના પછાત તેમજ ગરીબ બાળકો ને પોષણ યુક્ત આહાર આપી અને શારીરિક તેમજ માનસિક વિકાસ થકી સર્વાંગી વિકાસ કરવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનાઓ માં કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવતા હોય છે.આ યોજનાઓ માં લાભાર્થી ને ખરો લાભ મળે છે કે નહિ તે માટે પણ સરકારે વિવિધ અધિકારીઓ નીમી અને દેખરેખ રાખતી હોય છે.પરંતુ આ અંગે દેખરેખ રાખવામાં આ સરકારી અધિકારીઓ ઉણા ઉતરતા હોય છે જેનું પરિણામ લાભાર્થીઓ ને વેઠવું પડતું હોય છે.આવો જ ઘાટ હાલ ઝાલોદ તાલુકાની

આંગણવાડીમાં ચાલતી લોલમલોલને લઇ ને ઘડાયો છે. જેમાં બાળકોને આપવામાં આવતા પોષણક્ષમ આહાર આપ્યા વીના જ તેનાં ખોટા બિલો રજૂ કરી અને બારોબાર નાણાં સગેવગે કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.જે પેટે આંગણવાડીની મુખ્ય સેવિકાઓથી માંડીને કચેરી ના ક્લાર્ક પણ સંડોવાયેલા હોવાનું કહેવાઈ રહ્યું છે અને તેમની પાસે થી એક આંગણવાડી પેટે ૨૫૦૦ જેટલા રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાનું કહેવાય છે. તો આ માસ ના બીલો માં તો ૨૦ ટકા જેટલી રકમ પણ આંગણવાડી વર્કરો પાસે થી ઉઘરાવવામાં આવી હતી.ઝાલોદ તાલુકામાં ચાલતી કુલ ૫૪૭ જેટલી આંગણવાડીમાં આ રીત નો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ચર્ચાઓ છે. આ અંગે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પણ ચર્ચા થઈ હતી, ત્યારે આ અંગે શું પગલાં લેવાશે તે જોવાનું રહ્યું.

આંગણવાડી કેન્દ્રો પર દર ગુરૂવારે અપાતી સુખડી ઓછી આપી બિલ વધુ લેવામાં આવે છે.

 આંગણવાડી કેન્દ્રના બાળકોને એક સપ્તાહની સુખડી દર ગુરૂવારે બનાવી અને આપવામાં આવતી હોય છે.ત્યારે આ સુખડી ઓછા પ્રમાણ માં બનાવી અને વધુ પ્રમાણના બીલો ખોટા રજૂ કરી અને મોટા પાયે ઉચાપત થતી હોવાનું કેહવાઈ રહ્યું છે. તો આ માટે પ્રતિ આંગણવાડી દીઠ બે થી ત્રણ હજાર રૂપિયા પણ ઉઘરાવવામાં આવી રહ્યા છે. તો બિલ દીઠ ૨૦ ટકા જેટલી રકમ પણ વસૂલતી હોય છે. આ ગેરેરિતીઓ સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. જેની ઉચ્ચસ્તરીય તપાસ જરૂરી છે.આ ગેરરીતિ સામે સામાન્ય સભામાં પણ સવાલો ઉઠ્યા હતા.તેમ છતાં આ અંગે તંત્ર દ્વારા મૌન ધારણ કરવામાં આવ્યું હતું.

Share This Article